રીપોર્ટ@ગુજરાત: ભાજપ દ્વારા 'કોર ગ્રુપ'ની મહત્વની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન?

 
કોર ગ્રુપ
કોર ગ્રુપમાં લેવાયેલા નિર્ણયો જ આગામી સમયમાં રાજકારણની દિશા નક્કી કરશે

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક


ભારતીય જનતા પાર્ટીએ સૌથી મહત્વની પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ) ની જાહેરાત કરી દીધી છે. આ કોર ગ્રુપમાં કુલ 11 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક રિપીટ થયા છે તો કોઈને પડતા મુકવામાં આવ્યા છે.જગદીશ વિશ્વકર્મા માટે કહેવાય છે તેઓ પ્રયોગ માટે જાણીતા છે. સીઆર પાટીલે 2022માં રચેલી જૂની કમિટીમાં પ્રદેશ મહામંત્રીઓને મહત્વ અપાયું હતું. વિશ્વકર્માએ જૂના નેતાઓ પર વધારે ભરોસો મૂક્યો છે. જેને પગલે જ આઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માથી લઈને ગણપત વસાવાનો સમાવેશ કરાયો છે. એક સમયે પાટીલના રાજમાં સાઈડલાઈન થયેલા નેતાઓને હવે પ્રાધાન્ય મળવા લાગ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સીઆર પાટીલને પણ કોર કમિટીમાં રાખી એમના અનુભવનો નિચોડ લેવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોર ગ્રુપ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. વિવિધ નિર્ણયોમાં આ કોર ગ્રુપની ભૂમિકા મહત્વની હોય છે. જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આ કોર ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. જૂની કોર કમિટીમાં પણ સીએમ અને નાયબ સીએમ સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગણપત વસાવા અને જીતુ વાઘાણીનું નામ હતું. જેઓ રીપિટ થયા છે પણ ભાજપે સંગઠનમાંથી બાકાત થયેલા પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા અને ભાર્ગવ ભટ્ટને બાકાત રાખ્યા છે. જેઓ એક સમયે પ્રદેશ મહામંત્રીનું પદ સંભાળતા હતા. શંકરભાઈ ચૌધરી હાલમાં વિધાનસભાના અધ્યક્ષ હોવાથી તેનું નામ નવી કોર કમિટીમાંથી બાકાત રહ્યું છે. ભાજપે એક મહિલાનો સમાવેશ કરવા માટે નવી કોર કમિટીમાં રંજનબેન ભટ્ટની જગ્યાએ મંત્રી દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કર્યો છે.