રીપોર્ટ@ગુજરાત: કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું, દર્દીઓનો આંકડો 190ને પાર, લોકોમાં ફફડાટ

 
કોરોના
સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 190ને પાર પહોંચી ચૂક્યો છે. ખાસ વાત છે કે, આઉટસ્ટેટથી આવેલા લોકો કોરોનાથી સંક્રમિત નીકળી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, કચ્છમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, આજે ત્રણ નવા કેસ સાથે આંકડો 6 એ પહોંચ્યો છે. કોરોના અપડેટની વાત કરીએ તો, કચ્છમાં કોરોનાના સતત વકરી રહ્યો છે, આજે વધુ ત્રણ નવા કેસો નોંધાયા છે. આ નવા ત્રણ કેસ સાથે હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 6 પર પહોંચી ચૂકી છે.

જિલ્લામાં ભુજમાં 4 કેસ, આદિપુર અને નખત્રાણામાં એક- એક કેસ નોંધાયા છે. તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાથી હૉમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, મહત્વનું છે કે, આદિપુરના કોરોના સંક્રમિત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી કેરળની સામે આવી છે, આઉટસ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવતા જ લોકોમાં ફફાડાટ ફેલાયો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 131, રાજકોટ કોર્પોરેશનમાંથી 15, જામનગર કોર્પોરેશનમાંથી 10, મહેસાણામાંથી 6, ગાંધીનગર કોર્પોરેશનમાંથી 5, ભાવનગર કોર્પોરેશનમાંથી 4, કચ્છમાંથી 3, બનાસકાંઠામાંથી 2, ખેડામાંથી 2, આણંદ-ભરૂચ-પાટણ-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 19 મેના કોવિડ પોઝિટિવનો આંક 7 હતો. આમ, 10 દિવસમાં કોવિડ પોઝિટિવનો આંક 183 જેટલો વધી ગયો છે.

કોવિડ પોઝિટિવ દર્દીમાં કયો વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારસુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. રાહતની વાત એ પણ છે કે, કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે. તબીબોના મતે, કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.