રીપોર્ટ@ગુજરાત: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં 265 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક તરફ DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ મૃતદેહો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઇએ જણાવ્યું છે, કે 'અત્યાર સુધીમાં 265 મૃતદેહો હોસ્પિટલ લવાયા છે.' અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા B J મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે.
વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે. માહિતી અનુસાર ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.