રીપોર્ટ@ગુજરાત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધિકારીઓને કડક ચેતવણી, જાણો વિગતે

 
હર્ષ સંઘવી
જવાબદાર અધિકારી સામે સીધા જ કડક પગલા ભરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારે ખેડૂતોને ઝડપી ન્યાય આપ્યો છે. અને જો એકપણ ખેડૂત તરફથી વળતર યોગ્ય રીતે કે સમયસર ન મળ્યાની ફરિયાદ આવશે, તો જવાબદાર અધિકારી સામે કોઈપણ ચર્ચા વિના કડક પગલાં લેવામાં આવશે.

સુરતના લસકાણામાં આયોજિત એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના વહીવટી અધિકારીઓને પાક નુકસાન સહાય પેકેજના અમલીકરણ અંગે સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે વાત કરતા, તેમણે વહીવટીતંત્રને સખત સૂચનાઓ આપી હતી.તેમણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોને ઝડપી ન્યાય આપ્યો છે અને તે સહાય ખેડૂતો સુધી પૂરેપૂરી પહોંચવી જ જોઈએ. તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું, "અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. જો એકપણ ખેડૂતની ફરિયાદ આવશે કે તેને નુકસાનનું વળતર યોગ્ય રીતે કે સમયસર મળ્યું નથી, તો પછી કોઈ વાત નહીં થાય, જવાબદાર અધિકારી સામે સીધા જ કડક પગલા ભરવામાં આવશે."

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજ ની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલીભર્યો સાબિત થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતો છેલ્લા બે દિવસથી ગ્રામપંચાયત કચેરી બહાર લાઈનોમાં ઊભા રહેવા છતાં સરકારી ઓનલાઈન સિસ્ટમ વારંવાર બંધ થવાને કારણે ફોર્મ ભરી શક્યા નથી. ગામના VCEના મતે, સર્વર ચાલે તો પાંચ મિનિટનું કામ છે, પરંતુ હાલ પાંચ કલાક લાગી જાય છે. ખેડૂતો રાત સુધી રાહ જોવા છતાં ફોર્મ ન ભરાતા આક્રોશિત છે અને આ પ્રક્રિયાને "લોલીપોપ જેવી સહાય" ગણાવી રહ્યા છે.