રિપોર્ટ@ગુજરાત: કચ્છમાં ફરી 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ભયભીત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છમાં મધરાતે શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. આ ભૂકંપ 5ની તીવ્રતાનો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર આંચકાનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધીના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતાં જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી પડ્યા હતા.
આ પહેલાં 16 માર્ચે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આંચકા પછી, લોકો ગભરાઈ ગયા હતા અને થોડા સમય માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કટોકટી સેવાઓ એલર્ટ પર છે.ભૂકંપ એ પૃથ્વીની સપાટી પર અચાનક થતી હિલચાલ છે, જે મોટાભાગે ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે થાય છે. પૃથ્વીનો બાહ્ય સ્તર અનેક ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલો છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. જ્યારે બે પ્લેટો અથડાય છે, સરકી જાય છે અથવા એકબીજા નીચે જાય છે, ત્યારે તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ તણાવ ખૂબ વધી જાય છે, ત્યારે તે આંચકાના સ્વરૂપમાં મુક્ત થાય છે, આ ભૂકંપ છે.