રીપોર્ટ@ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના DNA મેચ, પાર્થિવ દેહ રાજકોટ લઇ જવામાં આવશે

 
વિજય રૂપાણી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થયું હતું. હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા છે. સવારે 11 વાગ્યેને 10 મીનિટે DNA મેચ થયા છે. વિજયભાઈના DNA મેચ માટે પરિવારના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. વિજયભાઈ રુપાણીના DNA મેચ થતા હવે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઇ જવામાં આવશે.જ્યાં સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

વિજય રૂપાણીના અકાળે અવસાનથી ગુજરાતના રાજકારણમાં અને જાહેરજીવનમાં એક મોટી ખોટ પડી છે, અને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને તેઓ રાજકોટના લોકલાડીલા નેતા હતા જેથી રાજકોટ પણ તેમના લોકલાડીલા નેતાના નિધનથી શોકમગ્ન છે. 14 જૂન શનિવારે રાજકોટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકમાં સજ્જડ બંધ રહ્યું હતું.