રિપોર્ટ@ગુજરાત: નર્મદા કેનાલનું બાકી રહેલું વળતર ચૂકવવા હાઇકોર્ટનો સરકારને આદેશ

 
હાઇકોર્ટ

કચ્છ, બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલના બાંધકામ માટે કેનાલના માર્ગમાં વચ્ચે આવતા આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો-ગ્રામજનોની જમીન સને 2011માં સંપાદન કરવા કબ્જો લઇ લીધાના 13-13 વર્ષનો સમય વીતવા છતાં સેંકડો ગ્રામજનોને આજદિન સુધી અંતિમ વળતર ચૂકવાયું નથી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી સરકારનો ખુલાસો માગ્યો હતો.

 

હાઇકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઇન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવાની ફરજ પડી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્વના ચુકાદા મારફતે અરજદાર ખેડૂતોના કિસ્સામાં છ મહિનામાં વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારને ફરમાન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો છે.

 

હાઇકોર્ટે સરકારની ઇન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટીને દરેક ખેડૂતોના કેસને વ્યક્તિગત ધોરણે ચકાસવા અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલ હોય તો વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો.આ માટે અરજદાર ખેડૂતોએ ત્રણ સપ્તાહમાં કમિટીના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની રહેશે. હાઇકોર્ટે જણાવ્યું કે, ખેડૂતોના વળતર અંગેના દાવાઓ મળ્યેથી કમિટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને અરજદાર ખેડૂતોને શક્ય એટલી ઝડપથી મહત્તમ છ મહિનામાં વળતર ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.

સત્તાવારાઓ દ્વારા એ વખતે ગ્રામજનોને એડવાન્સ વળતર ઉચ્ચક ધોરણે ચૂકવી આપ્યું હતું અને અંતિમ વળતર બાદમાં આપવાની ખાતરી આપી હતી. સત્તાવાળાઓએ લેન્ડ એકવીઝીશન એકટ-1894ની સંબંધિત જોગવાઇઓનું અનુસરણ કર્યા વિના જ જમીનનો કબજો લઈ લીધો હતો અને આટલા વર્ષો સુધી અરજદારોને તેમની ખેતીની જમીનના હક્ક- અધિકારથી અને યોગ્ય તેમ જ પૂરતા વળતરથી વંચિત રાખ્યા હતા. અરજદાર ગ્રામજનો તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા સ્થાનિક ગ્રામજનોને આખરી વળતર નહીં ચૂકવાતા અગાઉ થયેલી રિટ અરજીમાં હાઈકોર્ટે છ મહિનામાં અસરગ્રસ્ત ગ્રામજનોને અંતિમ વળતર ચૂકવી આપવા રાજય સરકારના સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.