રીપોર્ટ@ગુજરાત: ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર, ગાંધીના રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં આયોજીત જનસભામાં આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. માત્ર ફોન કરો કે તરત જ હાજર. તેમણે ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે અપીલ કરતાં કહ્યું કે, 'પંજાબમાં ખેડૂતોને મફળ વીજળી મળી છે, ત્યારે ગુજરાતમાં ખેડૂતો હેરાન છે. હવે ડર-દબાણથી બહાર આવીને સત્તા પરિવર્તન જરૂરી બન્યું છે.'ગુજરાતમાં ખેડૂતો દુ:ખી છે. સિચાઇનું પાણી મળતુ નથી. પાકના પોષણક્ષમ ભાવ સુધ્ધા મળતા નથી. મોંઘવારીમાં લોકો પિસાઈ રહ્યાં છે. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપ સરકારે કશું કર્યું નહીં તેવો આક્ષેપ કરતાં આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'શરાબ કૌંભાંડમાં ખોટા આરોપસર જેલમાં નાંખ્યા પણ કોર્ટે ઇનામદાર કહીને નિર્દોષ ગણી છોડયાં છે.
ગુજરાતમાં પણ આપના નેતાઓને જેલમાં નાંખી દેવાયા છે. ભાજપ સરકારનું કહેવું છે કે, અમારી સામે અવાજ ઉઠાવશો તો, જેલમાં ધકેલી દઇશું. ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યાં છે, તેમ છતાંય મળતિયાઓને જેલમાં ધકેલાતાં નથી. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો કે, 'ગુજરાતમાં સ્કૂટર પર ફરતાં ધારાસભ્ય 100 કરોડ રૂપિયાના માલિક બન્યાં છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં જનતાની સરકાર રચાશે. ત્રિપલ એન્જિનની નહીં, મલ્ટીપલ એન્જિનની સરકાર બનશે. ખેડૂત એન્જિન, મહિલા અન્જિન, યુવા એન્જિન બનશે. જેમણે ભ્રષ્ટાચાર આચરી ગુજરાતની જનતાને લૂંટવાનુ કામ કર્યું છે તેને જેલના સળિયા પાછળ ધકેલીશું. 'ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો કે, 'બજેટમાં શહેરોના વિકાસ માટે 33 હજાર કરોડ રૂપિયા, જ્યારે ગામડાઓ માટે 14 હજાર કરોડ રૂપિયા ફાળવાયાં છે. ગામડાના લોકો ભાજપને મત આપે છે છતાં સરકાર કેમ અન્યાય કરે છે તે સમજાતુ નથી.' ધારાસભ્ય ચૈતર વસાવા અને હેમંત ખવાએ પણ સરકારને આડે હાથે લીધી હતી.

