રીપોર્ટ@ગુજરાત: વિસાવદરમાં મતદાન અંગે કેજરીવાલના ચૂંટણી પંચ પર ગંભીર આરોપો

 
કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિસાવદરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ છેતરપિંડી કરીને વિસાવદર પેટાચૂંટણી જીતવા માંગે છે અને આ માટે વિસાવદરના તમામ બૂથ પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP ના વડા અરવિંદ કેજરીવાલે ઇન્સ્ટાગ્રામ પર લખીને આક્ષેપ કર્યો કે, "પડદા પાછળ, ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રમત રમી રહી છે.લાઈવ સ્ટ્રીમિંગ વેબસાઇટ પણ કામ કરતી બંધ થઈ ગઈ." તેમણે વધુમાં ચિંતા વ્યક્ત કરતા લખ્યું, "ધોળે દિવસે આ શું થઈ રહ્યું છે? શું મોટા પાયે બૂથ કબજે કરવાની કોઈ યોજના છે? મને આશા છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી કરશે."

AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પણ આવા જ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, "ચૂંટણી પંચે છેલ્લા એક કલાકથી વિસાવદરમાં મતદાન મથકો પરથી લાઈવ CCTV ફૂટેજ બંધ કરી દીધા છે. લાઈવ સ્ટ્રીમિંગ બંધ કર્યા પછી, બાધણિયા બૂથ પર ભાજપના કાર્યકરને નકલી મતદાન ન કરવા બદલ પ્રમુખ અને પોલીસને માર મારવામાં આવ્યો હતો. શું ECI એ ભાજપના ફાયદા માટે આ નવો ખેલ રમ્યો છે?" ગુજરાતની વિસાવદર બેઠક પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ ગયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિસાવદર બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી 54.61 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય સરકારે ગુરુવારે (19 જૂન) મતદાન માટે બંને મતવિસ્તારમાં જાહેર રજા જાહેર કરી હતી.