રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો, ભોજન યોજનાને લઇ સરકારનો મોટો નિર્ણય
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 'પઢાઈ ભી, પોષણ ભી'ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે. રાજ્યમાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રુપિયા 493 કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50 ટકા માનદવેતન વધારા માટે રૂપિયા 124 કરોડ મળીને 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' માટે સમગ્રતયા વાર્ષિક રૂપિયા 617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.આ મુજબ પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રૂપિયા 4500નું માસિક માનદવેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂપિયા 3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂપિયા 1500 માનદવેતન આપવામાં આવશે.