રિપોર્ટ@ગુજરાત: પીએમ નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયાની મુલાકાતે, અનેક નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે

31 ઓકટોમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન મોદી પુષ્પાંજલિ અર્પિત કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિપાવલીના તહેવારોમાં ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 30 અને 31 તારીખે કેવડિયાની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે અને 30 તારીખે નરેન્દ્ર મોદી 5 વાગે કેવડિયા હેલિપેડ ખાતે આગમન કરશે ત્યાર બાદ અનેક નવા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 30 તારીખે સાંજે નર્મદા આરતી માં ભાગ લેશે જ્યાં દિવાળીની પૂર્વ સંધ્યાએ 1.50 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
બીજા દિવસે 31 ઓકટોમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પિત કરશે ત્યારબાદ પરેડ ગ્રાઉન્ડમાં આવી રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેશે ત્યારબાદ તેઓનું સંબોધન રહેશે. કેન્દ્રીયમંત્રી પણ અમિત શાહ 30 ઓક્ટોબરે અમદાવાદમાં આગમન બાદ બેસતા વર્ષના દિવસની શરૂઆત તેઓ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીથી કરશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિ તેમજ દિવાળીના દિવસને ઊજવવા માટે ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુર ખાતે હનુમાન મંદિરની મુલાકાત લેશે. અહીં, 200 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા વિશ્વના સૌથી મોટા યાત્રિક ભવન ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે.
1લી નવેમ્બરે, દિવાળી પછીના દિવસે, ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના ગ્યાસપુરમાં એએમસીના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ, મ્યુનિસિપલ કચરાને વીજળીમાં ફેરવશે, જે શહેરના સ્વચ્છતા અભિયાનમાં મદદરૂપ થશે. વડાપ્રધાન અને અમિત શાહની આ મહત્વની મુલાકાતને લઈને ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વિભાગ અને એસપીજી કમાન્ડોની વિશેષ સગવડ સાથે સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. અમદાવાદ અને સાળંગપુર સ્થાનોના કાર્યક્રમોને લઇને સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક સંચાલન માટે કડક વ્યવસ્થા અમલમાં છે.