રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે, જાણો વિગતે

 
ફિલ્મ
અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે સાંજે 4 વાગ્યે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે. મહત્વનું છે કે, PM મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતની ગોધરાની ઘટના પર આધારિત છે. વિગતો મુજબ PM નવી દિલ્હીના બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ જોશે.ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ગયા મહિને 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ દરમિયાન PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મના વખાણ કર્યા હતા એ સારી વાત છે કે, હવે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ જોઈ શકે. નકલી વાર્તા માત્ર થોડા સમય માટે જ ચાલે છે. અંતે,હકીકતો બહાર આવે છે.

PM એ એક પોસ્ટને રીટ્વીટ કરીને ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ સંબંધિત આ પોસ્ટ એક પત્રકાર દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મ 2002માં ગોધરામાં બનેલી ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે. PM પીએમ મોદી જ નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. અમિત શાહ ગયા મહિને 22 નવેમ્બરે ફિલ્મના નિર્માતાઓને પણ મળ્યા હતા. ફિલ્મના નિર્માતાઓની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અમિત શાહે કહ્યું, "ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યો અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન આપ્યા."

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને સત્યને બહાર લાવે છે જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવે આ ફિલ્મને તેમના રાજ્યમાં ટેક્સ ફ્રી કરી. આટલું જ નહીં તેમણે તેના કેબિનેટ સાથીદારો સાથે ફિલ્મ પણ જોઈ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્મા પણ હાજર હતા. એક દિવસ પહેલા જ કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ હતી. ફિલ્મ જોયા બાદ ચૌધરીએ કહ્યું કે, સાબરમતી રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું છે. એ પણ કમનસીબી છે કે વોટબેંકની રાજનીતિએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. વ્યક્તિએ હંમેશા સત્યનું સમર્થન કરવું જોઈએ.