રિપોર્ટ@ગુજરાત: NEET-UG પેપર લીક કેસમાં ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

 
કાર્યવાહી

ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોધરાના પરવડી ગામમાં નેશનલ NEET-UGમાં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની ધરપકડ કરી છે. સીબીઆઈએ રવિવારે આ કેસમાં પટેલના રિમાન્ડ મેળવવા પંચમહાલ જિલ્લા કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે કેસ સીબીઆઈની વિશેષ અદાલતના અધિકારક્ષેત્રમાં આવે છે, જેના પગલે સીબીઆઈએ અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સીબીઆઈએ શનિવારે મોડી રાત્રે દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. કલાકો અગાઉ પંચમહાલ જિલ્લા અદાલતે ચાર આરોપીઓ – તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા, વિભોર આનંદ અને આરીફ વોરાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેને પહેલા પંચમહાલ જિલ્લાના શિક્ષા અધિકારી એ 8 મે એ નોંધેલી FIRમાં ગોધરા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

સીબીઆઈએ જય જલારામ સ્કૂલના ચેરમેન પટેલનું નિવેદન 27 જૂને નોંધ્યું હતું, જ્યારે તેમણે ગોધરાના પરવડી અને ખેડા જિલ્લામાં એક જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બે કેન્દ્રોની મુલાકાત લીધી હતી. પંચમહાલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ શનિવારે મોડી રાત્રે પટેલની ધરપકડ કરી હતી અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. રિમાન્ડ અરજીમાં CBIએ કહ્યું છે કે પટેલ પર “આરોપીઓ સાથે સંપર્કમાં હોવાની શંકા છે, જેઓ પહેલાથી જ કેસમાં છે અને ગેરરીતિઓથી વાકેફ હતા”.

પટેલ ગોધરા કેન્દ્રમાં NEET-UG ગેરરીતિઓમાં પકડાયેલો છઠ્ઠો આરોપી છે.સીબીઆઈએ પાંચમા ધરપકડ કરાયેલા આરોપી પરશુરામ રોય, ઈમિગ્રેશન એજન્ટ અને રોય ઓવરસીઝના માલિકની કસ્ટડી માંગી ન હતી. ગુરુવારે, સીબીઆઈએ ગુજરાતના ઓછામાં ઓછા છ સ્થાનિક વિદ્યાર્થીઓના નિવેદનો રેકોર્ડ કર્યા હતા. જેમણે કેન્દ્રમાં NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે આરોપીઓનો સંપર્ક કર્યો હતો.