રિપોર્ટ@ગુજરાત: પંચાયતથી મહાનગરપાલિકા સુધી કરોડોની ગ્રાન્ટની જોગવાઈ, સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

 
ભુપેન્દ્ર પટેલ
જિલ્લા પંચાયતને દર વર્ષે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સામુદાયિક વિકાસના કામોને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવો મુજબ જિલ્લા પંચાયત પ્રમુખની ગ્રાન્ટ તેમજ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી દરમિયાન વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે.સરકારનાનિર્ણય મુજબ સ્થાનિક અગ્રતા ધરાવતા સામુદાયિક વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે જિલ્લા પંચાયતને દર વર્ષે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

નવા નિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખે તેમની કુલ અઢી વર્ષની એટલે કે 2 વર્ષ અને 6 મહિનાની મુદત દરમિયાન પ્રથમ બે વર્ષ માટે દર વર્ષે રૂ.3 કરોડના વિકાસકામોનું સુઆયોજિત આયોજન કરવાનું રહેશે.જિલ્લા પંચાયત પ્રમુખની મુદતના અંતિમ છ મહિના માટે રૂ.40 લાખના વિકાસકામોનું આયોજન કરવાનું રહેશે. જો આ સમયગાળા દરમિયાન મંજૂર કામોનું આયોજન બાકી રહે તો તેની જવાબદારી નવી નિયુક્તિ પામનારા જિલ્લા પંચાયત પ્રમુખ પાસેથી મેળવવાની રહેશે.જો જિલ્લા પંચાયત પ્રમુખનું પદ ખાલી હોય અથવા પંચાયતમાં વહીવટદારનું શાસન હોય, તો આ ગ્રાન્ટના આયોજન અને ઉપયોગ અંગેની સત્તા જિલ્લા આયોજન મંડળ પાસે રહેશે.સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં વિકાસકામોને યોગ્ય પ્રાધાન્ય મળે તે માટે ગ્રાન્ટની ફાળવણી સમપ્રમાણ ધોરણે કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત સ્થાપના દિવસ સાથે જોડાયેલા વિકાસકામો માટેની ગ્રાન્ટમાં પણ મોટો વધારો કર્યો છે.5 ઓગસ્ટ 2026ના સરકારના નિર્ણય બાદ જાહેર થયેલા નવા ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં સામુદાયિક વિકાસ માટે જિલ્લામાં રૂ.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. શહેરી વિસ્તારોના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરને પણ રૂ.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી કામો હાથ ધરવા માટે પણ રૂ.5 કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી તેમજ 1 મેના ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વિકાસકામો માટે કરી શકાશે.સરકારના આ નિર્ણયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાતોને આધારે વિકાસકામો હાથ ધરવા માટે વધુ નાણાકીય સગવડ ઊભી થશે.