રિપોર્ટ@ગુજરાત: રાજકોટના અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ, કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં બંધનું એલાન

 
અગ્નિકાંડ
કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. કેટલીક બજારોના વેપારીઓએ મૃતાત્માઓની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખશે.

બંધ પૂર્વે પોલીસ કર્મચારી એક વેપારી આગેવાનને ફોન કરીને તમામ વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેમ કહેતા હોવાનો ઓડિયો વાયરલ થતા વિવાદ જાગ્યો હતો. ઓડિયોમાં પોલીસકર્મી વેપારીઓને ધરાર! બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે કન્ફર્મ કરવા આ યાદી મંગાઈ રહ્યાનું જણાવે છે, ત્યારે વેપારી અમને કોઈએ કશુ દબાણ કર્યું નથી તેમ જણાવે છે.આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી.

રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠીયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઈ છે, પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને છાવર્યા છે. ટીપીઓ કે ફાયર ઓફિસરો શાસકપક્ષના બેકીંગ વગર આવું કરી શકે નહીં. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત હોવાથી તેને ખુલ્લો ટેકો આપ્યો નથી પરંતુ, કોંગ્રેસને ચેમ્બરના સેક્રેટરીએ એક પત્ર લખી આપ્યો છે જેમાં વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ બંધ પાડે તેમ અપીલ કરાઈ છે.