રીપોર્ટ@ગુજરાત: રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે અંત, રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળ આજે સામેટાઇ છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલીઓ પડી રહી હતી. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય થયું અને આજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર તરફથી અગાઉ કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષાઈ હતી. ત્યારે આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારવામાં આવી છે. ઉપરાંત રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે. આ સિવાય મીનીમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમત થઈ છે. બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી છે. જેમાં તકેદારી સમિતિના 2 સભ્યોના બાયોમેટ્રિક પર સરકાર સહમત થઈ છે.સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના કારણે રાજ્યની 17 હજાર દુકાનો બંધ રખાઈ હતી. હડતાળ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી હતી.

