રિપોર્ટ@ગુજરાત: રેલ્વે બજેટમાં રાજયને 17,155 કરોડ રૂપિયાની ફાળવણી, રેલ્વેમંત્રીની મોટી જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય બજેટમાં રેલવે હેઠળ ગુજરાતને 17155 કરોડ રૂપિયાની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. આ 2014 પહેલાના સરેરાશ રૂ. 589 કરોડના ખર્ચ કરતાં 29 ગણું વધારે છે. 2014 થી, ગુજરાતમાં 2739 કિલોમીટર નવા ટ્રેક નાખવામાં આવ્યા છે. જે ડેનમાર્કના સમગ્ર રેલ નેટવર્ક કરતા વધુ છે. 2014 થી, 3144 કિલોમીટર રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે, ગુજરાત 97% વીજળીકૃત થઈ ગયું છે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. નવી દિલ્હીના રેલ ભવનમાં તેમણે કહ્યું કે 30,826 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 2950 કિમીના 42 ચાલુ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે આગામી બે થી ત્રણ વર્ષમાં દેશને 200 નવી વંદે ભારત ટ્રેનો, 100 અમૃત ભારત ટ્રેનો, 50 નમો ભારત રેપિડ રેલ અને 17,500 સામાન્ય નોન-એસી કોચ મળવાની અપેક્ષા છે. આ વર્ષના બજેટમાં રેલવેના 4.60 લાખ કરોડ રૂપિયાના માળખાગત વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ છે. આ વર્ષે બજેટમાં વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા ભારતીય રેલ્વેની સલામતી વધારવા માટે 1.16 લાખ કરોડ રૂપિયાથી વધુની નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, યુપીએના કાર્યકાળ કરતા ફાળવણી 29 ગણી વધુ છે. તેમણે એ પણ માહિતી આપી કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 87 સ્ટેશનોનો પુનઃવિકાસ 6,303 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનોમાં અમદાવાદ, ચાંદલોડિયા, આણંદ, અંકલેશ્વર, અસારવા, ભચાઉ, રાજકોટનું ભક્તિનગર, ભાણવડ, ભાવનગર, દ્વારકા, ગાંધીધામ, ગોધરા, ગોંડલ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ વગેરેનો સમાવેશ થાય છે.