રિપોર્ટ@ગુજરાત: 'બે દિવસમાં સરેન્ડર કરો નહીંતર ઘરેથી પકડી જઈશું', ઘુસણખોરોને ગૃહરાજ્યમંત્રીની ચેતવણી

 
હર્ષ સંઘવી

લોકો ડ્રગ્સના હેરાફેરી તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત પોલીસે એક ઐતિહાસિક અને વ્યાપક ઓપરેશન ચલાવતું મોટા પાયે ગેરકાયદેસર રીતે વસેલા બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી કરી છે. અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે. રાજ્યની બંને મુખ્ય શહેરોની પોલીસ ટીમે આખી રાત ખડેપગે રહીને આ કામગીરી અમલમાં મૂકી હતી. આ બાંગ્લાદેશી નાગરિકો પશ્ચિમ બંગાળથી ભારત ઘૂસ્યા બાદ અલગ અલગ રાજ્યમાં ફેક ડોક્યુમેન્ટ બનાવી રહેતા હતા.આમાંથી ઘણા લોકો ડ્રગ્સના હેરાફેરી તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.

અગાઉ પકડાયેલા ચાર બાંગ્લાદેશી અલકાયદા જેવા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનું પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ગૃહમંત્રી તરફથી ઘૂસણખોરો માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 'આવનારા બે દિવસમાં જે કોઇ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થાય, નહીતર પોલીસ ઘરે જઈ પકડી લેશે. જેઓ આવા લોકોને શરણ આપશે તેઓ પણ પોલીસે નહીં છોડે.' આ કાર્યવાહી કેન્દ્ર સરકારના નિર્દેશો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ લેવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયો પર આધારિત છે.

રાજ્ય સરકારો આ આદેશનું પાલન કરે તેવી પણ કેન્દ્ર તરફથી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં એટલાં માળખાગત પ્રમાણમાં કાર્ય કરવામાં આવ્યું કે એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો આખી રાત સતત જાગૃત રહ્યા. રાજ્યના ગૃહ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓએ સુરત તથા અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. જેઓ બાંગ્લાદેશી નાગરિકોને ફેક આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કાગળો તૈયાર કરીને આપતા હતા, તેમની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે.