રીપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેમના આ પ્રવાસમાં વિકાસકામોના લોકાર્પણ, ધાર્મિક મુલાકાત અને બિઝનેસ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. તેમના પ્રવાસની શરૂઆત શેલા સ્થિત ક્લબ O7થી થશે. અહીંથી તેઓ IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ 'IMA 2025'ને ખુલ્લી મૂકશે. ત્યારબાદ તેઓ એસ.જી. હાઈવે પર આવેલા ગોપાલ ફાર્મ પહોંચશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ અને શાંતિપુરા સુધી નાખવામાં આવેલી નવી પાણીની લાઈનનું લોકાર્પણ કરશે, જેનાથી હજારો લોકોને રાહત થશે.
પ્રવાસના ત્રીજા તબક્કામાં તેઓ સરખેજ વિસ્તારના વણઝર ખાતે જશે અને ત્યાં અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કરશે. બાદમાં પશ્ચિમ અમદાવાદના ટ્રાફિક અને સુંદરતાને ધ્યાનમાં રાખીને પકવાન સર્કલ (બોડકદેવ) પાસે એસ.જી. હાઈવે પર તૈયાર કરાયેલા પ્રથમ આઇકોનિક રોડ પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ તેઓના હસ્તે થશે. બાદમાં બપોરે 1:00 વાગ્યાની આસપાસ અમિત શાહ થલતેજ સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકો સાથે દર્શન અને મુલાકાત કરશે. થલતેજ બાદ તેઓ જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'યુવા બિઝનેસ મહાસંમેલન-2025'નું ઉદ્દઘાટન કરશે.
પ્રવાસના અંતિમ તબક્કે તેઓ સાણંદના ગોધાવી ખાતે આવેલા સંસ્કારધામ જશે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ 'નમો મહોત્સવ' યોજાયો છે, જેમાં તેઓ વિશેષ ઉપસ્થિતિ આપશે. આ વિકાસલક્ષી પ્રવાસને પગલે તંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે.

