રીપોર્ટ@ગુજરાત: વિજય રુપાણીનો મૃતદેહ આજે પરિવારને સોંપાય તેવી શક્યતા, રાજકોટમાં કરાશે અંતિમવિધિ

 
વિજય રૂપાણી
રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ગમગીની વ્યાપી ગઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં 12મી જૂન ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી મૃત્યુ પામ્યા હતા.આજે સદગત વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપાય તેવી શક્યતાઓ છે. વિજય રુપાણીની મૃતદેહ સોંપણી માટે ડીએનએ સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને આજે સોંપી દેવામાં આવશે.અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરો પૈકી 241ના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાંથી એક ગુજરાતના પૂર્વ મુખ્યંત્રી પણ હતા.

વિજ્ય રુપાણીના મૃતદેહને આજે તેમના પરિવારને સોંપવામાં આવશે. તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવશે. રાજકોટમાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. અત્યારે વિજય રુપાણીના પુત્ર વૃષભ રુપાણી વતન પહોંચી રહ્યા છે. વિજય રુપાણીના નિધનથી રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ગમગીની વ્યાપી ગઈ છે. વિજય રુપાણીના અકાળે મૃત્યુને લીધે રાજકોટની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ઘણા વર્ષોના સાથી એવા વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

આ દુઃખદ ઘટના બાદ વડાપ્રધાને સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોને રુબરુ મળીને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાને વિજય રુપાણીના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે સંબંધ રહ્યો હતો. અનેક પડકારોમાં અમે ખભાથી ખભો મિલાવીને કામ કર્યુ હતું. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા. મેયરથી CM સુધીની જવાબદારી વિજયભાઈએ યોગ્ય રીતે નિભાવી હતી. વડાપ્રધાને વિજય રુપાણીના પરિવારને સાંત્વના આપી  હતી.