રીપોર્ટ@ગુજરાત: કોરોના કહેર વચ્ચે રાજ્યના આ 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારો દ્વારા પોતાના લેવલ પરથી વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ વધુ સાત શહેરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવ્યો હતો જેની સમયમર્યાદા પૂર્ણ થઇ રહી છે. જેથી ફરી એક વખત કર્ફ્યુ યથાવત્ રહેશે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ તરફ મુખ્યમંત્રી રૂપાણી ફરી એક મીટિંગ યોજી અને સાંજ સુધીમાં નિર્ણય કરે તેવી શક્યતા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કર્ફ્યુના સમયમાં કોઈ વધારો કરવામાં આવે એવી પણ શક્યતાઓ નથી. રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂ છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં 36 શહેરોની વાત કરીએ તો ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 08થી સવારના 06 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.