રિપોર્ટ@મહેસાણા: ઉદ્યોગોની મંજૂરી માટે ચુંટણી સ્ટાફ, સત્તાનું કેન્દ્રિકરણ કેમ
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા કોરોના મહામારી દરમ્યાન આવશ્યક ઉદ્યોગોને મંજૂરી અપાય છે. જેમાં અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરી નવી રચના કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી કામ લઈ ચુંટણી શાખાને સોંપ્યું છે. જેનાથી અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. ચુંટણી પંચના નિયમો, સત્તાનું કેન્દ્રિકરણ અને એકાદ બે સિવાય તમામ સંબંધિત અભિપ્રાય પણ નથી. જેનાથી પારદર્શક વહીવટ સામે સૌથી મોટા સવાલો ઉભો થયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ગત 28 માર્ચથી આવશ્યક ચીજવસ્તુઓ હેઠળના ઉદ્યોગોને લોકડાઉન વચ્ચે ચાલુ રાખવા મંજૂરી આપવાની શરૂઆત થઈ હતી. જેમાં ત્રણ અધિકારીઓને નોડલ બનાવી ડિઝાસ્ટર શાખામાં ફરજ આપવા આદેશ થયા હતા. આ પછી 300થી વધુ અરજીઓ આવી હતી. જેમાં કેટલાકને શરૂમાં આનાકાની કરી પાછળથી મંજૂરી આપી હતી. જોકે આ વ્યવસ્થા 11 દિવસ રાખી સૌથી મોટો ફેરબદલ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં એટલે કે ગત 9 એપ્રિલથી ડિઝાસ્ટર શાખાને બદલે ચુંટણી સ્ટાફને કામ આપ્યું છે. જેમાં ચુંટણી શાખાના 5 સહિત કુલ 6 કર્મચારીઓને જવાબદારી સોંપી એક નોડલ બનાવી દીધા છે. આ ટીમ ઉદ્યોગકારોની વિગતો સાથેનો અભિપ્રાય અધિક કલેક્ટર સમક્ષ રજૂ તેવો આદેશ કર્યો છે. આ વ્યવસ્થાને લીધે પારદર્શકતા બાબતે સવાલો ઉભા થયા છે.
આ બાબત વિચારવા જેવી
કેન્દ્ર અને રાજ્ય ચુંટણી પંચનો આદેશ છે કે, ચુંટણી શાખાના કર્મચારીઓને ચુંટણી સિવાયના કોઈ જ કામ ન આપવા. જો અન્ય શાખાના સ્ટાફની અત્યંત ઘટ હોય તો જ વિચાર કરવો. આ નવીન વ્યવસ્થાને લીધે સત્તાનું કેન્દ્રિકરણ થઈ ગયું છે. જો આવશ્યક સેવાના પાસ પરમિટ મામલતદાર કચેરી આપે તો ઉદ્યોગકારોની મંજૂરીઓ કેમ નહિ ? જો મામલતદાર સક્ષમ અધિકારી નથી તો કમસેકમ અભિપ્રાય માટે કેમ બાકાત ?
કોરોના મહામારી છતાં આરોગ્ય શાખાનો અભિપ્રાય નથી
સૌથી મોટી વાત સામે આવી છે કે, આવશ્યક ચીજવસ્તુઓમાં આવતાં ઉદ્યોગકારોને મંજૂરી આપતાં દરમ્યાન જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ફુડ એન્ડ ડ્રગ્સનો અભિપ્રાય લેવાય છે. જ્યારે આરોગ્ય શાખાનો અભિપ્રાય લેવામાં આવતો નથી. આવી સ્થિતિમાં આરોગ્યની બાબતમાં પણ આરોગ્યની ભુમિકા સાઈડ થઈ છે.
શું કહ્યું મહેસાણા કલેક્ટર એચ.કે પટેલે ?
આ બાબતે મહેસાણા કલેક્ટરે શરૂઆતમાં કોઈ કોમેન્ટ કરવાથી ઈન્કાર કર્યો હતો. જોકે પારદર્શકતા અંગે પૂછતાં જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર અને એપેડેમિક એક્ટ દરમ્યાન કલેકટરને નિર્ણય લેવાનો અધિકાર છે. વહીવટી સુગમતા માટે સ્ટાફની જવાબદારી ગોઠવી છે.
નામંજૂર થવાનો આંકડો ચોંકાવનારો
આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોની અરજીઓ ઓનલાઇન નિકાલ થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં અનેક અરજદારો લોકડાઉન વચ્ચે અરજી અને તેની પૂર્તતા કરવા મથામણ કરે છે. જેમાં અત્યાર સુધી કુલ 444 અરજી પૈકી 289 મંજૂર જ્યારે 155 નામંજૂર થઈ છે.