રીપોર્ટ@દેશ: વડાપ્રધાને 'મન કી બાત' 136માં એપિસોડમાં કારગિલ યુદ્ધના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી

 
મોદી
આ દિવસ દરેક ભારતીય માટે ગર્વ અને અદમ્ય સાહસની યાદ અપાવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના 136 મા એપિસોડને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કાર્ગિલ વિજય દિવસનો ઉલ્લેખ કરીને દેશના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દિવસ દરેક ભારતીય માટે ગર્વ અને અદમ્ય સાહસની યાદ અપાવે છે.

તેઓએ આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ ઓલમ્પિયાડમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.ભારતીય નૌકાદળમાં 'આઈએનએસ મહેન્દ્રગિરિના સમાવેશને ટાંકતા વડાપ્રધાને તેને સ્વદેશી રક્ષા નિર્માણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.આ આધુનિક યુદ્ધ જહાજ ભારતમાં જ ડિઝાઇન અને નિર્મિત છે, જેમાં ૭૫ ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ 'આત્મનિર્ભર ભારત'ની વધતી તાકાતનું સ્પષ્ટ પ્રતીક છે.

આજે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ છે, ત્યારે વડાપ્રધાને 1999 ના કારગિલ યુદ્ધના શૂરવીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે કઠોર હવામાન અને દુશ્મનોના પડકારો સામે આપણા સૈનિકોએ અદમ્ય સાહસ દાખવ્યું હતું. વીર જવાનોના બલિદાનને યાદ કરવા માટે આ વર્ષે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકથી દ્રાસ સ્થિત કારગિલ વોર મેમોરિયલ સુધી 'શૌર્ય વિજય યાત્રા' મોટરસાઇકલ અભિયાન યોજવામાં આવ્યું છે, જેનો મુખ્ય સંદેશ 'એક રાઇડ, એક રાષ્ટ્ર, એક સલામી' છે.

જળ સંરક્ષણ વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે 'કેચ ધ રેઈન' અભિયાન હવે દેશભરમાં એક જનઆંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. 4 જુલાઈથી શરૂ થયેલા આ વિશેષ અભિયાન હેઠળ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ સહિતના અનેક રાજ્યોમાં તળાવોનું નિર્માણ, કુવાઓ અને વાવનું પુનઃજીવનીકરણ તેમજ ભૂગર્ભ જળ રિચાર્જનું કામ મોટા પાયે થઈ રહ્યું છે.