રીપોર્ટ@નવસારી; ભીષણ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા વાયુસેના મેદાને, 30થી વધું લોકોનું દિલધડક રેસ્ક્યૂ

 
નવસારી

અનેક નદીઓ ઉભરાઈ જવાથી ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા આફતરૂપી ભારે વરસાદને કારણે પૂરની અત્યંત વિકટ અને ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં અનેક નદીઓ ઉભરાઈ જવાથી ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા અને ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF અને એસડીઆરએફની ચાર ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને પણ મદદ માટે બોલાવવામાં આવી છે. આ મિલિટરી બટાલિયન પોતાના અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ અને સાધનો સાથે ધમડાછા સહિતના પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને સ્થાનિકોનું રેસ્ક્યૂ કરી રહી છે.બીજી તરફ, નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામ નજીકથી એક કટોકટીભર્યો કિસ્સો સામે આવ્યો હતો.

અહીં આવેલા એક ઝીંગા ફાર્મ પર પૂરના પાણી ફરી વળતાં ત્યાં કામ કરતા અને રહેતા 30થી વધુ લોકો ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયા હતા અને તેમણે તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી. પાણીનું સ્તર વધુ હોવાથી જમીન માર્ગે પહોંચવું અશક્ય જણાતાં તાત્કાલિક ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી હતી. વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ ૩૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા છે.