રીપોર્ટ@પંચમહાલ: ગોધરા, હાલોલ અને શહેરામાં ભેદી વાયરસથી 3 બાળકોના મોતથી ખળભળાટ

ICMR પુડુચેરીની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલના ગોધરા, હાલોલ અને શહેરામાં ભેદી વાયરસથી ત્રણ બાળકોના મોતથી પ્રશાસન થયું દોડતું થયું હતું. જિલ્લાના ત્રણ તાલુકાના ચાર બાળકોને તાવ અને ખેંચ આવતા તાત્કાલિક વડોદરા દાખલ કરાયા હતા જેમાંથી ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. બાળકના મોતનું કારણ જાણવા આરોગ્ય વિભાગે મૃતકના પરિવારના સેમ્પલ તપાસમાં મોકલ્યા છે. આ ઉપરાંત ICMRની પુંડુંચેરીની ટીમના સભ્યોએ ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાં ત્રણ જેટલા બાળકોના ભેદી વાયરસને કારણે મોત નીપજ્યા છે ત્યારે બાળકોના મોતનું સાચું કારણ જાણવા ICMR પુંડુંચેરી સહિત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોના અસરગ્રસ્ત વિસ્તારોમાં ધામા નાખી જરૂરી નમૂના લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસથી તાવ આવ્યા બાદ 3 બાળકોના મોતથી ખળભળાટ મચી ગયો હતો. જ્યારે એક બાળક વડોદરાની SSG હોસ્પિલ ખાતે સારવાર હેઠળ છે. તાવ, ખેંચ આવ્યા બાદ સારવાર દરમિયાન વડોદરા SSG હોસ્પિટલમાં બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.
ચાંદીપુરમ સહીત 5 વાયરસના ટેસ્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના મોતનું સાચુ કારણ શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. હાલોલ, શહેરા તથા ગોધરા તાલુકામાં 4 બાળકોને તાવ સાથે ખેંચ આવતા વડોદરા SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે 4 બાળકોમાંથી 3 બાળકોના ભેદી વાયરસના કારણે મોત થયા છે. ગોધરા તાલુકાના મોર ડુંગરા વિસ્તારમાં 42 જેટલા કાચા મકાનોમાંથી માખીઓના નમૂના લેવામાં આવ્યા હતા.બાળકોના શંકાસ્પદ મોતનું સાચું કારણ જાણવા માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીની નિષ્ણાત ટીમ પંચમહાલ આવી પહોંચી છે.