રીપોર્ટ@પાટણ: ખાન સરોવરમાં મરેલા કૂતરા, માછલીઓના હાડપિંજર દેખાતા પીવાના પાણીની ગુણવત્તા અંગે ચિંતા

 
પાટણ
નગરજનોને પાણીજન્ય રોગ થવા પાછળ જવાબદાર કોણ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં પાણીનું સ્તર ઘટતાં હજારો માછલીઓ મૃત્યુ પામી છે. સરોવરમાં મરેલા કૂતરાઓના હાડપિંજર પણ જોવા મળ્યા છે. આ પરિસ્થિતિને કારણે નગરજનોમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા ફેલાઈ છે. નગરપાલિકા તંત્ર દ્વારા સરોવરની યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે.

નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા તાત્કાલિક રીતે સરોવરથી મૃત માછલીઓ અને કૂતરાઓના દેહ દૂર કરી શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ ઉઠી છે. કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટે સ્થળની મુલાકાત બાદ જણાવ્યું કે હજારો માછલીઓના દેહ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. તેમણે પાલિકાને આંતરિક વિવાદો છોડીને શહેરીજનોને શુદ્ધ પાણી પૂરુ પાડવા અપીલ કરી. હાલ પાણી ઉકાળી પીવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે.