રિપોર્ટ@ગુજરાત: જમીન કૌભાંડના ગુનામાં સંડોવાયેલ IASની બદલી પાટણ થતાં આ ધારાસભ્યએ CM ને લખ્યો પત્ર

 
ધારાસભ્ય

આયુષ ઓક ની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં 2000 કરોડના જમીન કૌભાંડના ગુનામાં સંડોવાયેલ IAS અધિકારી આયુષ ઓકને સજાના ભાગરૂપે પાટણ ખાતે લિવ રીઝર્વ મુકવામાં આવતા ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે વિરોધ ઉઠાવ્યો છે અને રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી આ અધિકારીની અન્ય જગ્યાએ બદલી કરવામાં નહીં આવે તો જિલ્લાની પ્રજાને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે પાટણ જિલ્લામાં જે પણ સરકારી અધિકારી આવે અને ફરજ બજાવે છે. તે પ્રામાણિક અને નિષ્પક્ષ તટસ્થ પણે પાટણ જિલ્લાની પ્રજાના પ્રશ્નોને ઈમાનદારી પૂર્વક વાંચા આપી શકે એવા હોવા જોઈએ. સુરત જિલ્લામાં 2000 કરોડ રૂપિયાની જમીન કૌભાંડમાં જેમનું નામ સામે આવી રહ્યું છે તેવા વિવાદિત અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલ આઈ.એ.એસ. અધિકારી આયુષ ઓકની પાટણ ખાતે બદલી થઈ હોવાના સમાચાર જાણી ખૂબ દુખ સાથે ચિંતા અનુભવું છું.

આવા અધિકારી પાટણની જનતાને ઈમાનદારી પૂર્વક ન્યાય ન અપાવી શકે તેમજ અહીંના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પર આવા વિવાદિત અધિકારીની ખોટી અસરો ન થાય તે માટે આયુષ ઓક ની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.