રિપોર્ટ@રાજકોટ: અગ્નિકાંડ મામલે SIT વડાએ આપ્યું મોટું નિવેદન- દેશમાં કદાચ પ્રથમ વખત આવું બન્યું હશે

 
રાજકોટ અગ્નિકાંડ
અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે 

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં સવા કલાક ચાલેલી બેઠક મળી હતી. બેઠક બાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે કે 'અમારી પાસે પ્રાથમિક તપાસના 24 કલાક જ હતા, રાજય સરકારના ઘણા વિભાગો સંકળાયેલા છે. અને તપાસમાં ઘણો સમય માગી લે એમ છે. પરંતુ દેશમા કદાચ પ્રથમ આવું બન્યું હશે કે DNA મેચિંગનું કામ ઝડપથી થયું છે. 'ગાંધીનગર એફ.એસ.એલ.માંથી DNAનો મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહોને પોતાના સગાઓને સોંપવામાં આવી રહ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બીદ. દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અગ્નિકાંડમાં SIT વડા સુભાષ ત્રિવેદીએ આજે મોટું નિવેદન આપ્યું હતું કે 'અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધા જ IAS કે IPS અધિકારીને પૂછપરછ કરવા માટે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે.' કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે ' જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્ત્વનું હતું,  તોડીને નાશ કરવાનો આશય બિલ્કુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે DNA લઈ શકીએ. જેથી DNAના આધારે એફએસએલ દ્વારા આ DNAની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશયથી કરવામાં આવ્યુ છે.'