રીપોર્ટ@સોનગઢ: ખાનગી શાળાએ સરકારની 8 ગુંઠાથી વધુ જમીન પચાવી પાડી, મામલતદારે શું કહ્યું વાંચો

 
સોનગઢ
શાળાએ વર્ષોથી પાક્કું બાંધકામ કરી જમીન પચાવી હોઈ લેન્ડ ગ્રેબિંગ કેમ નહિ તે પણ સવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સોનગઢ ખાતે છેલ્લા કેટલાક સમયથી આદીજાતી વિકાસ વિભાગની કુમાર છાત્રાલયનું કામ પ્રગતિમાં છે. આ છાત્રાલયના બિલ્ડિંગ માટે રેવન્યુ વિભાગે જમીન ફાળવણી કરી હતી પરંતુ ખાનગી દબાણ થઇ ગયું છે. મદદનીશ કમિશ્નર કચેરીએ સોનગઢ મામલતદાર કચેરીને છેક 2023 માં જણાવેલ કે, દબાણ હોય તો દૂર કરાવો પરંતુ આજસુધી કોઈ કાર્યવાહી નથી. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે સોનગઢ મામલતદારે તાત્કાલિક અસરથી ખાનગી શાળાના કર્તાહર્તાને નોટીસ ફટકારી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે, જ્ઞાનતીર્થ એકેડમી નામની સંસ્થાએ સરેરાશ 8 ગુંઠા જેટલી સરકારી જમીન પચાવી પાડી છે. વાંચો આ સ્પેશ્યલ રિપોર્ટ.

 

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદીજાતી વિકાસ વિભાગની વધુ એક છાત્રાલયનુ બિલ્ડિંગ બની રહ્યું છે. રાજ્ય સરકાર અહિંના આદીજાતી વર્ગના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત કરે છે ત્યારે વધુ એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સોનગઢ ખાતે હાલ બની રહેલ કુમાર છાત્રાલયની જમીન ઉપર જ્ઞાનથીર્થ નામની ખાનગી શાળાએ દબાણ કર્યું હોવાનો વધુ એક ખુલાસો મામલતદાર કચેરી‌એથી સામે આવ્યો છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ અને વડી કચેરીએથી આવેલ સુચનાને પગલે મામલો આખરે સોનગઢ તાલુકા મામલતદાર સુધી પહોંચ્યો છે. આ અંગે વિગતો પૂછતાં સોનગઢ મામલતદાર રાણાભાઇએ જણાવ્યું હતું કે, નોટિસ આપી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે પરંતુ નાયબ મામલતદારની વાત સાંભળી તો અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

 


નાયબ મામલતદારે શરૂમાં કહ્યું કે, સરેરાશ 8 ગુંઠા જેટલી સરકારી જમીનમાં દબાણ છે પરંતુ ખાનગી શાળાને જમીન જોઈતી હોય તો માંગી શકે, લો બોલો. દબાણ દૂર કરવાની તાત્કાલિક જરૂર છે ત્યાં ખાનગી શાળાની જરૂરિયાત બતાવી દીધી. હકીકતમાં આદીજાતી વિકાસ વિભાગને આ છાત્રાલય બાદ ભવિષ્યમાં વધુ છાત્રાલય કે શાળા માટે પણ જમીન જરૂર પડશે તે બાબતે વિચાર નહિ ? આટલુ જ નહિ, હાલની સ્થિતિએ જોઈએ તો ખાનગી શાળાએ વર્ષોથી પાક્કું બાંધકામ કરી જમીન પચાવી હોઈ લેન્ડ ગ્રેબિંગ કેમ નહિ તે પણ સવાલ છે. સરકારી જમીન પચાવી પાડવાનો કોઈને પણ અધિકાર નથી એ સ્વિકારવુ પડે. વાંચો મોટો ખુલાસો.

 


સૂત્રોએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગને મળેલી જમીન ઉપર એકમાત્ર હક્ક સરકારનો છે ત્યારે કોઈપણ સંજોગોમાં ચાહે ખાનગી શાળા હોય કે અન્ય બાંધકામ કોઈને પણ ગેરકાયદેસર દબાણનો હક્ક નથી. આજની સ્થિતિએ જ્ઞાનતીર્થ એકેડમીનું સરકારની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ, દબાણ, કબજો, ભોગવટો હોઈ લેન્ડ ગ્રેબિંગ કેસ સુધીની કાર્યવાહી કરવાની રાજ્ય સરકારને સત્તા છે. મામલતદાર કચેરીના કર્મચારીએ જણાવ્યું હતું કે, સામેની વ્યક્તિને તેનો પક્ષ મૂકવાનો અધિકાર આપી તપાસ કરી રીપોર્ટ તાપી કલેક્ટરને સુપ્રત કરાશે. જાણકારોના મતે, દબાણ હોઈ સૌપ્રથમ ગેરકાયદેસર દબાણ દૂર થાય તે સ્વાભાવિક અને નિયમોનુસાર છે.

 

આગામી ન્યૂઝ રીપોર્ટમાં થશે અતિ ગંભીર અને ચોંકાવનારા ખુલાસા


આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીશું કે, ખાનગી શાળાની મંજૂરી દરમ્યાન તત્કાલીન તાપી જિલ્લા શિક્ષણાધિકારીની શું ભૂમિકા રહી? ખાનગી શાળા નિયમ ભંગ કરે ત્યારે આદીજાતી વિકાસ વિભાગની શિક્ષણ સહાય બાબતે શું જોગવાઈ છે ? તે સહિતના અનેક ખુલાસાઓ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીશું.