રીપોર્ટ@સુરેન્દ્રનગર: કોરોના વચ્ચે કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ સહિત અનેકના રાજીનામા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના કહેર વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ સહિત અનેકના રાજીનામા પડતાં રાજકીય કોલાહલ મચી ગયો છે. ગત ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીના નબળા નેતૃત્વના પગલે કોંગ્રેસના પોતાના કાર્યકરમાં જ નારાજગી જોવા મળી રહી છે. આ તરફ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસી કાર્યકરોએ ટપોટપ રાજીનામા આપી દીધા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સેલના કોંગ્રેસના પ્રમુખ સતિષભાઈ ગમારાએ પ્રમુખ અમીતભાઈ ચાવડા ને રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગરમાં નબળું કોંગ્રેસનું નેતૃત્વ છે જેને લઇને છેલ્લાં અનેક વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે છતાં મારી કોઈ પણ જાતની કિંમત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવતી નથી. આ સાથે ચૂંટણી ટાણે પ્રચાર કરવા આવતાં કોંગ્રેસી નેતાઓ અન્ય દિવસોમાં જિલ્લાની પ્રજા વચ્ચે દેખાતા નથી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, વઢવાણ શહેર પૂર્વ ઉપપ્રમુખ જીતુભાઈ દલવાડીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રનગરમાં સંચાલનનો અભાવ તેમજ કોંગ્રેસની કારમી હાર થવાના કારણે દિગ્ગજ નેતાઓ પણ નારાજ થયા છે. અનેક કોંગ્રેસના નેતાઓએ રાજીનામા ધર્યા છે. જયારે 15થી વધુ કોંગ્રેસ કાર્યકરો આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકરોની ઉપસ્થિતિમાં આગામી રવિવારે ‘આપ’ માં જોડાશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે.