રીપોર્ટ@તાપી: મૂળ ફરજ આદીજાતીની શાળા અને છાત્રાલયમાં અને હાજરી કચેરીમાં, કંઈ બનશે તો જવાબદારી કોની?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી મદદનીશ કમિશ્નરની કચેરી અને સોનગઢ ખાતે આવેલી પ્રાયોજના વહીવટદારની કચેરી રાજ્યના આદીજાતી વિકાસ વિભાગની છે. આ બંને કચેરી વહીવટી કામકાજ માટે છે પરંતુ જિલ્લામાં આવેલી વિભાગની શાળા અને છાત્રાલયોમાં પણ કર્મચારીઓ હોય છે. શાળામાં હોય શિક્ષકો અને છાત્રાલયમાં હોય છે વોર્ડન. હવે તાપી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પરિસ્થિતિ કંઈક અલગ જણાઇ આવી છે. શિક્ષક હોય છતાં શાળામાં ઓછી ફરજ આપે અને વોર્ડન હોય છતાં કચેરીમાં સેવા આપે છે. અહિં સવાલ થાય કે, શિક્ષકની શાળામાં હાજરી પૂરતી ના થાય તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય ? જ્યારે છાત્રાલયોમાં વોર્ડન ના જાય તો રાત્રિ દરમ્યાન અથવા દિવસે કંઈ બને તો જવાબદારી કોની ? હવે આનાથી પણ સૌથી ગંભીર સવાલ થાય કે, કોણ અને કેમ શાળામાં શિક્ષકની આપૂર્તિ થવા દેતું નથી અને છાત્રાલયમાં વોર્ડનની સતત હાજરી થવા દેતું નથી. જાણીએ સ્પેશ્યલ ઘટસ્ફોટ રિપોર્ટમાં
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે મદદનીશ કમિશ્નરની કચેરીમાં કેટલાક રેગ્યુલર કર્મચારી છે તો કેટલાક ચાર્જમાં છે. આ ચાર્જવાળા મૂળ ફરજની જગ્યામાં ગેરહાજર રહી મદદનીશ કમિશ્નરની કચેરીમાં જતાં હોય તો મૂળ ફરજની જગ્યા સાથે અન્યાય કેટલો અને સૌથી મોટી અસર જવાબદારીની બને છે. પરાગ પટેલ મૂળ મદદનીશ શિક્ષક છે પરંતુ અગાઉ ફાજલ થતાં 2 છાત્રાલયના વોર્ડન તરીકે મૂકાયા પરંતુ ઘણાં મહિનાથી મૂળ શિક્ષક તરીકે મૂકાયા છતાં વોર્ડનના ચાર્જમાં યથાવત છે. આ દરમ્યાન અનેકવખત મદદનીશ કમિશ્નર કચેરીમાં ખૂબ જતાં હોઈ મૂળ શિક્ષકની ફરજને અસર થાય કે નહિ ? એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઊભો થાય પરંતુ અહિં શિક્ષક છતાં આખો દિવસ અને સતત શિક્ષકની હાજરી સુનિશ્ચિત ક્યારે ? નીચેના ફકરામાં મોટી વાત વાંચો.
આ બાજું મદદનીશ કમિશ્નરની કચેરીમાં એક ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ આવે છે તેમાં ઘણાં સમયથી નવી ભરતીનાં અને મૂળ વોર્ડન(એટીડીઓ) નિરજ વસાવાને ચાર્જ આપેલો છે. હકીકતમાં આ નિરજ વસાવાની મૂળ ફરજ કુમાર છાત્રાલય, ઉચ્છલ અને કુમાર છાત્રાલય, નિઝર ખાતે છે. જોકે બંને છાત્રાલયમાં ગેરહાજર રહીને સતત મદદનીશ કમિશ્નર કચેરી રહે ત્યારે શું તે પણ સમજીએ. હવે ઉચ્છલ અને નિઝર છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થીઓ સાથે રાત્રિ કે દિવસ દરમ્યાન કંઈ અયોગ્ય થાય તો જવાબદારી કોની? કોઈ કારણસર તબિયત બગડે, જંગલ વિસ્તાર નજીક હોઈ કોઈ નુકસાનકારક પરિસ્થિતિ ઉભી થાય તો વોર્ડનની ગેરહાજરી કેટલી વ્યાજબી? આટલું જ નહિ શું મદદનીશ કમિશ્નરની કચેરીમાં અન્ય કોઈ રેગ્યુલર કર્મચારી નથી કે જેને ઓ.એસનો ચાર્જ ના આપી શકાય ? નીચેના ફકરામાં જરા નજર કરજો કમિશ્નર સાહેબ
સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડન એટલે એક તરીકે હોસ્ટેલના ગૃહપતિ કે જેઓ નિવાસી છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થીઓને યોગ્ય આહાર, વિહારમાં તકલીફ ના પડે અથવા તકલીફ ના આવે તે માટે મદદરૂપ બને. આ વોર્ડનની ફરજ એક રીતે સતત વાલી તરીકેની છતાં ઉચ્છલ અને નિઝર કુમાર છાત્રાલયમાં વોર્ડન ગેરહાજર રહે તો કમિશ્નર સાહેબ, પ્રાયોજના વહીવટદાર સાહેબ કંઈક અજુગતું બને તો જવાબદારી કોની? રાજ્યના મૃદુ મુખ્યમંત્રી વારંવાર દરેક કર્મચારી અને અધિકારીને મૂળ ફરજમાં નિષ્ઠાવાન રહેવા જણાવે છે તો શું આ નિષ્ઠાની સુચના તાપીની છાત્રાલયો અને શાળાઓના કર્મચારીઓને લાગુ પડે કે ?
વોર્ડનની મુખ્ય જવાબદારી પણ જાણી લો.
વોર્ડનની જવાબદારી નિવાસી છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને સાચવવાની છે. હવે જો ફુડ પોઈઝનિંગ થાય તો ? નજીકમાં નદી નાળા છે તો વિદ્યાર્થીઓ સાથે દુર્ઘટના બને તો ? કોઈ જંગલી પ્રાણી ધસી આવે અને કોઈ દુર્ઘટના બને તો ? વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક/ઘર્ષણ થઈ જાય તો ? કોઈ કારણસર વિદ્યાર્થી ચિંતામાં સરી પડે અને કંઈક ખરાબ બની જાય તો ? આ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કાળજી માટે અત્યંત મહત્વપૂર્ણ છે તો મૂળ વોર્ડન એવા નિરજ વસાવાની ગેરહાજરી રહે ત્યારે પ્રાયોજના સાહેબ કે કમિશ્નર સાહેબ તમે જવાબદારી લેશો?
શિક્ષકે પણ અનેક સમય સુધી કચેરીમાં હાજરી આપી
મૂળ મદદનીશ શિક્ષક એવા પરાગ પટેલે પણ ખૂબ સમય સુધી મદદનીશ કમિશ્નર કચેરીમાં હાજરી આપી છે ત્યારે આ લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને શિક્ષણમાં અન્યાય થયો છે. અમારા ન્યૂઝ રીપોર્ટ બાદ શાળામાં હાજરી વધારી છે પરંતુ વોર્ડનનો ચાર્જ યથાવત્ રહ્યો તે પણ સવાલ છે. જાણકારોના મતે, શિક્ષક પરાગ પટેલ હજુપણ 2 વોર્ડનનો ચાર્જ સંભાળી રહ્યા હોઈ શાળામાં હાજરીને અસર પડે તેનું કેમ ધ્યાને લેવાતું નથી તે શિક્ષકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે.