રિપોર્ટ@અયોધ્યા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત રાજ્યનું મંત્રી મંડળ અયોધ્યા પહોંચ્યું

 
ભુપેન્દ્ર પટેલ

દરેક હિન્‍દુનો સંકલ્પ હતો કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જ જોઈએ.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ,મુખ્ય દંડકસહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું.તેઓ એ આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે તેનું શ્રેય નરેન્‍દ્ર મોદીને જાય છે.

તેમને અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદભવનો ઉદઘોષ છે.મુખ્યમંત્રીએ કહું કે પ્રભુરામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે.

તેમણે જણાવ્યું કે, દરેક હિન્‍દુનો સંકલ્પ હતો કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જ જોઈએ. પ્રભુ રામની કૃપાથી આવા ઐતિહાસિક મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા બન્ને પવિત્ર કાર્યનું સૌભાગ્ય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને પ્રાપ્ત થયું છે.