રિપોર્ટ@દિલ્હી: કેજરીવાલના ભાજપ પર આક્ષેપ 'તમે તમારો વોટ મોદીને નહીં અમિત શાહને આપી રહ્યા છો'

 
અમિત શાહ
વડાપ્રધાને આમ આદમી પાર્ટીને કચડી નાંખવાના અનેક પ્રયત્નો કર્યા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીમાં દારૂ નીતિના કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યાના બીજા દિવસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું નરેન્દ્ર મોદી આગામી વર્ષે ૭૫ વર્ષના થઈ રહ્યા છે. ભાજપમાં તેમણે જ નિયમ બનાવ્યો હતો કે જે ૭૫ વર્ષના થશે તેમને નિવૃત્ત કરી દેવાશે. આમ, મોદી તો આગામી વર્ષે નિવૃત્ત થઈ જશે. ત્યાર પછી તેઓ તેમના અતિ વિશ્વાસુ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. એટલું જ નહીં અડવાણી, મુરલી મનોહર, વસુંધરા રાજે જેવા તેમના જ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે કર્યું હતું તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજકારણ ખતમ કરી નાંખશે.

અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર તાનાશાહી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, વડાપ્રધાન એક ખતરનાક મિશન ચલાવી રહ્યા છે. આ મિશનનું નામ 'એક રાષ્ટ્ર એક નેતા' છે. આ મિશન હેઠળ તેઓ દેશના બધા જ નેતાઓને ખતમ કરવા માગે છે. તેઓ વિપક્ષના નેતાઓને જેલમાં મોકલી દેશે અને ભાજપના જેટલા પણ નેતા છે તેમનું રાજકારણ ખતમ કરી દેશે. તેમને અડવાણી, મુરલી મનોહર જોષી, સુમિત્રા મહાજનનું રાજકારણ ખતમ કરી દીધું. તેમણે મધ્ય પ્રદેશ જીતાડનારા શિવરાજ સિંહ ચૌહાણ, રાજસ્થાનમાં વસુંધરા રાજે, હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર, છત્તીસગઢમાં રમણસિંહનું રાજકારણ ખતમ કર્યું. હવે તેઓ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું રાજકારણ ખતમ કરવા માગે છે. આ ચૂંટણી જીત્યાના બે મહિનામાં તેઓ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદેથી હટાવી દેશે. પીએમ મોદી પણ આગામી વર્ષે ૭૫ વર્ષના થઈ રહ્યા છે ત્યારે પોતે રાજીનામું આપશે. હકીકતમાં મોદીજી પોતાના માટે નહીં પરંતુ તેમના અતિ વિશ્વાસુ અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. તેઓ અમિત પીએમ બનાવી દેશે. તો આ મોદીની ગેરેન્ટી પૂરી કોણ કરશે? આ તાનાશાહી છે.કેજરીવાલે જેલમાં જવા છતાં દિલ્હીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપવાનું કારણ પણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, અમે તાનાશાહી સામે લડી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રીની ધરપકડ કરીને જેલમાં ધકેલવા માગે છે. અમે તેમની ટ્રેપમાં ફસાવાના નથી. તેથી જ મેં કહ્યું કે હું જેલમાં જતો રહીશ, ત્યાંથી સરકાર ચલાવીશ પરંતુ રાજીનામું નહીં આપું. તેમણે ઉમેર્યું કે, હું ઈન્કમ ટેક્સમાં કમિશનરની નોકરી કરતો હતો. મેં ૧૦ વર્ષ સુધી ઝુંપડપટ્ટીમાં કામ કર્યું છે. મને પહેલી વખત મુખ્યમંત્રી બનાવાયો ત્યારે દિલ્હીની સ્કૂલોના મુદ્દે ૪૯ દિવસમાં જ મેં સીએમપદને લાત મારી દીધી હતી. મારા માટે કોઈ પદ મહત્વનું નથી.