રીપોર્ટ@ગુજરાત: ભારે વરસાદની આગાહીના પગલે મુખ્યમંત્રીએ બોલાવી બેઠક, તમામ કલેક્ટરોને સૂચના આપી

 
ભુપેન્દ્ર પટેલ
નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને અને આગાહીને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.

મુખ્યમંત્રીએ નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે. ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો વચ્ચે ફસાયા હતા પાલીતાણા તાલુકાના 3 ગામમાં વિવિધ સ્થળે લોકો ફસાયા હતા.

સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો ફસાયા હતા.સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું, આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું છે. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા છે.