રિપોર્ટ@ગુજરાત: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાઈ

 
કેજરીવાલ

તપાસ એજન્સીએ તેમના વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં ગુરુવારે તેમને ફરી કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેમની ઈડીની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી હતી. કોર્ટમાં કેજરીવાલ અને ઈડીએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. કેજરીવાલે ખુદ પોતાનો પક્ષ રજૂ કર્યો અને આરોપ લગાવ્યો કે ઈડીના બે જ ઈરાદા છે એક આપ ને ખતમ કરવું અને બીજુ વસૂલી રેકેટ ચલાવવું.

અસલ કૌભાંડ તો ઈડીની તપાસ બાદ શરૂ થયું છે. શરથ રેડ્ડીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેણે જેલમાંથી નીકળીને પપ કરોડનો ફાળો ભાજપાને આપ્યો છે જેના મારી પાસે પુરાવા છે. એક કૌભાંડ ચાલી રહ્યુ છે. નાણાંનો ખેલ ચાલી રહ્યો છે.તે બસ આપને પીસવા ઈચ્છે છે બીજીતરફ એક્સટોર્શન કરે છે. ઈડીએ આવા આરોપને ફગાવી દઈ કેજરીવાલ પર રૂા. 100 કરોડની લાંચ માગ્યાનો આરોપ લગાવ્યો હતો.

કેજરીવાલે સવાલ ઉઠાવ્યો કે 100 કરોડનું કૌભાંડ થયું તો શું ઈડીને એ નાણાં મળ્યા છે ?દેશની સામે આમ આદમી પાર્ટીની છાપ ખરડાય તેવી તસવીર રજૂ કરાઈ રહી છે. દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ઈડી એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ 6 દિવસના રિમાન્ડ ગુરુવારે પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા જયાં બંન્ને પક્ષકારોની દલીલો બાદ કોર્ટે રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમના વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટમાં ઈડી તરફથી એએસજી એસ.વી.રાજૂ અને વકીલ જોહેબ હુસૈન વીસી રજૂ થયા હતા જ્યારે કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ રમેશ ગુપ્તા હાજર થયા હતા.ઈડીએ કોર્ટમાં રજૂઆત કરી કે કાઢવામાં આવેલા ડિજિટલ ડેટાની તપાસ કરવામાં આવનાર છે.