રીપોર્ટ@ગુજરાત: સરકારનો મહત્વનો નિર્ણય, વધુ 11 તાલુકા ‘વિકાસશીલ’ જાહેર, કુલ 3 કરોડની ગ્રાન્ટ મળશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના નવરચિત તાલુકાઓમાંથી વધુ 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક કુલ રૂ. 3 કરોડની ગ્રાન્ટ મળશે, જેમાં વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત રૂ. 2 કરોડ તેમજ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના હેઠળ રૂ.1 કરોડનો સમાવેશ થાય છે. રાજ્યમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરી છે.
આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50%થી વધારે ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જે નવા 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કદવાલ (જિ. છોટાઉદેપુર), ઉકાઈ (જિ. તાપી), ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ), સુખસર (જિ. દાહોદ), ચીકદા (જિ. નર્મદા), રાહ (જિ. વાવ થરાદ), ધરણીધર (જિ. વાવ થરાદ), ઓગડ (જિ. બનાસકાંઠા), હડાદ (જિ. બનાસકાંઠા), ગોધર (જિ. મહીસાગર), નાનાપોંઢા (જિ. વલસાડ)નો સમાવેશ થાય છે.

