રિપોર્ટ@ગુજરાત: ગ્રાન્ટેડ યુનિ.ઓ અને શૈક્ષણિક સંસ્થાઓના હિસાબી ઓડિટમાં 98.60 કરોડની ગેરરીતી

 
Yunivarsity
યુનિવર્સિટીના હિસાબોમાં અનિયમિતતા અંગેના વાંધા નીકળતા ખુલાશો માગવામાં આવ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક હિસાબી ભંડોળ પાસે રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના 2001થી 2019 સુધીના હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સરકારી યુનિવર્સિટી અને 14 અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટમાં 98.60 કરોડના હિસાબી અનિયમિતતા મળી આવી હતી, જે સરકારી યુનિવર્સિટીઓમાં હિસાબી અનિયમિતતા જોવા મળી છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2013-14 થી 2014-15 દરમિયાનમાં કુલ રૂ.13,35,37,000ની હિસાબી અનિયમિતતાની નોંધ કરવામાં આવી છે.

જ્યારે સૌથી વધુ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં 44 ઓડિટ પેરામાં રૂ.34.91 કરોડના ઓડિટ પેરા નીકળ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2010-11થી 2012-13 અને 2013-14થી 2014-15ના ઓડિટમાં કુલ 16 ઓડિટ પેરામાં રૂ.24,49,87,712ના હિસાબોની અનિયમિતતા જોવા મળી હતી. જેમાં 2013થી 2015 દરમિયાનમાં સેન્ટર ઓફ એક્સેલન્સની ગ્રાન્ટના ઉપયોગમાં સુસ્તતા, રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને લાભ આપવામાં નિષ્ફળતા અને ઇન્ડોર સ્ટેડિયમના બાંધકામમાં અનિયમિતતા, કોન્ટ્રાક્ટરને ખોટી રીતે વધુ મુદત આપવી, લીવ એન્કેશમેન્ટમાં વધુ ચૂકવણું, હોસ્ટેલ બિલ્ડિંગના બાધકામમાં વિલંબ, એડવાન્સ ચૂકવણા સહિતના વાંધા કાઢવામાં આવ્યા હતા. સૌથી વધુ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હિસાબોમાં અનિયમિતતા અંગેના વાંધા નીકળતા ખુલાશો માગવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારના કહેવા મુજબ આ કોઇ કૌભાંડ નથી પરંતુ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓએ ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ કર્યા ન હોય તેના માટે તે ક્યા વપરાવી જોઇએ તેના વાંધા છે. જે અંગે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાનિક હિસાબી ભંડોળને જવાબ કરી દીધો છે, પરંતુ હવે સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરને ફરી રિપોર્ટ થતા તેઓએ જવાબ માગ્યો છે. તેનો ખુલાશો કરવામાં આવશે.