રિપોર્ટ@ગુજરાત: 2મે ના રોજ જામનગરમાં PM મોદીની જાહેરસભા, ગૃહ રાજ્યપ્રધાને કરી તૈયારીઓની સમીક્ષા

 
પી એમ મોદી
હર્ષ સંઘવીએ સ્થાનિક ક્ષત્રિય સમાજના લોકો સાથે પણ બેઠક કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને ધમરોળી ઝંઝાવાતી પ્રચાર કરશે. તેઓ 1 અને 2 મે એમ બે દિવસમાં કુલ 6 જાહેર સભાઓ ગજવશે. જેમાંથી એક જાહેરસભા જામનગરમાં પણ યોજાવાની છે, ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સભા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.જામનગરમાં 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાવાની છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે સભા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 

કેબિનેટ પ્રધાન મુળુ બેરા, રાઘવજી પટેલ, પરીમલ નાથવાણી સાથે તેમણે બેઠક કરી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા પણ બેઠકમાં સામેલ થયા હતા.હર્ષ સંઘવીએ સ્થાનિક ક્ષત્રિય સમાજના લોકો સાથે પણ બેઠક કરી હતી. પૂનમ માડમના નિવાસસ્થાને બેઠકમાં તૈયારી અને ક્ષત્રિયોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ તેઓએ રાહુલ ગાંધીની રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણીની નિંદા કરી હતી. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણી રણમાં ઉતરશે.

 

ગુજરાતના સ્થાપના દિવસથી જ પીએમ મોદી 26 પૈકી 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન મોદી 1 અને 2 મેના રોજ બે દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવશે. 1 મેના રોજ તેઓ ડીસા અને હિંમતનગરમાં જંગી જાહેર સભા યોજશે. જ્યારે કે 2 મેના રોજ તેઓ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર એમ કુલ 4 જાહેર સભાઓ ગજવશે.તેમનો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે. બે દિવસ દરમિયાન પીએમ મોદી 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને આવરી લેશે.