રિપોર્ટ@ગુજરાત: PM નરેન્દ્ર મોદી પર પ્રિયંકા ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈ કર્યા આકરા પ્રહાર

 
પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ માટેનો ઢંઢેરો એક ન્યાય પત્ર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ 19મી એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓની ગતિવિધિ વધી ગઈ છે.શનિવારે પીએમ નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજસ્થાન પહોંચ્યા અને પ્રચાર કર્યો.જયપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે રાજ્યસભાના સભ્ય બન્યા બાદ મારી માતા સોનિયા ગાંધી તમારા રાજ્યમાં આવ્યા છે. ગઈ કાલે અમે અમારો મેનિફેસ્ટો બહાર પાડ્યો. કહ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ માટેનો ઢંઢેરો એક ન્યાય પત્ર છે. આ મેનિફેસ્ટો માત્ર ઘોષણાઓની યાદી નથી જેને આપણે ચૂંટણીઓ પછી ભૂલી જઈશું, પરંતુ તે એવા દેશનો અવાજ છે જે ન્યાય ઈચ્છે છે. આજે બેરોજગારી ચરમસીમાએ છે. 

કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં વોટ કરવાની અપીલ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર અગ્નિવીર યોજના લાવી, જેના કારણે લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું. દરેક રાજ્યમાં પેપર લીક થઈ રહ્યા છે. ખેડૂતો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ પીએમ મોદી તેમની વાત સાંભળવા તૈયાર નથી.