રિપોર્ટ@ગુજરાત: ગ્રાન્ટેડ શાળાઓમાં 1800 જેટલા આચાર્યની અછત, સંચાલક મંડળની CMને રજુઆત

 
સ્કૂલ

સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 1800 જેટલી જગ્યાઓ ખાલી છે. મહત્વની જગ્યા ખાલી હોવાથી શિક્ષણ પર તેની અસર પડી રહી છે. શાળા સંચાલક મંડળ દ્વારા અગાઉ પણ શિક્ષણ વિભાગને શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે રજુઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં ભરતી કરવામાં આવી હતી તેમ છતાં હજુ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 1800 જેટલા આચાર્યની અછત છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પત્ર લખીને રજુઆત કરી છે. કે, રાજ્યમાં અંદાજે 700થી વધુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આચાર્ય વગરની છે. તેમજ મે 2024ના શૈક્ષણિક વર્ષના અંતે નિવૃત્ત થયેલા આચાર્યની સંખ્યા અંદાજે 900થી વધુ છે. આમ નવા શૈક્ષણિક સત્રથી 1800 શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી હશે. એટલે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ આચાર્યોની ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવે તે જરૂરી છે.

મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં હાલમાં અંદાજે 1800ની આસપાસ આચાર્યની જગ્યા ખાલી છે. બે વર્ગોની શાળામાં જે વિદ્યાર્થી સંખ્યા બોર્ડર પર છે. તેવી શાળાઓને પણ ગત રાઉન્ડમાં આચાર્યની જગ્યાની ભરવા દેવામાં આવી નહોતી. જેથી તમામ જગ્યા પર આચાર્યની ભરતી કરવામાં આવે. HMAT પાસ ઉમેદવારો પણ આચાર્ય બની શક્યા નથી. જે શાળામાં આચાર્ય નથી ત્યાં આચાર્ય મળી રહે તેના માટે જરૂરી સુધારા વધારે કરી આચાર્યની બીજીવાર ભરતીની તક આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.