રિપોર્ટ@ગુજરાત: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ શુ પ્રતિક્રિયા આપી? જાણો

 
સિ આર પાટીલ

ભાજપ વિકાસ નક્કર કાર્યો કરનારી પાર્ટી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી હતી. નોંધનીય છે કે ભાજપે ગઈકાલે જ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. 70 વર્ષથી વધુના તમામને આયુષ્માન ભારતમાં સામેલ કરવાનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયો છે.પત્રકાર પરિષદ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે

પાટીલે કહ્યું હતું કે કૉંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારૂ સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરન્ટી આપીએ છીએ. વન નેશન, વન ઈલેક્શનને લઇને પાટીલે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. PMએ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે. એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે. સંકલ્પ પત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરન્ટી છે. ભાજપ વિકાસ નક્કર કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનને ગુજરાત અને દેશના આશીર્વાદ મળી રહ્યા છે. PMની વિકાસની રાજનીતિ પર જનતાને વિશ્વાસ છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનું કમળ ખીલશે. મોદી સરકાર સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલે છે. દેશની 80 કરોડ જનતાને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. આગામી વર્ષમાં હજુ ત્રણ કરોડ લોકોને ઘરનું ઘર મળશે.મુખ્યમંત્રીએ કહ્યું કે નારી શક્તિ વંદના અધિનિયમથી મહિલાઓને અનામત મળ્યું છે.