રિપોર્ટ@હૈદરાબાદ:પીએમ મોદીએ વિપક્ષના હુમલાને બનાવ્યું હથિયાર, રાહુલ ગાંધીના નિવેદન પર કર્યો પલટવાર

 
પીએમ મોદી
ચૂંટણી જાહેરાત બાદ INDI ગઠબંધને મેનિફેસ્ટો બહાર પાડ્યો. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ શાસિત તેલંગાણા પહોંચતા PM નરેન્દ્ર મોદીએ 'શક્તિ'ના મુદ્દે વિપક્ષ અને INDI ગઠબંધન ઘેર્યું હતું. જગતિયાલમાં આયોજિત જનસભા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષે સત્તાનો નાશ કરવા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે શક્તિ વિરુદ્ધ બોલનારાઓનો પડકાર સ્વીકાર્ય છે તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે, મુંબઈમાં રેલી દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ શક્તિ સામે લડી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, ‘ગઈકાલે INDI એલાયન્સે મુંબઈમાં રેલીનું આયોજન કર્યું હતું. ચૂંટણી જાહેરાત બાદ INDI ગઠબંધને મેનિફેસ્ટો બહાર પાડ્યો. જેમાં એલાન કર્યું કે, ઈન્ડી એલાયન્સની લડાઈ શક્તિ સામે છે. મારા માટે દરેક દીકરી, દરેક માતા અને દરેક બહેન શક્તિનું સ્વરૂપ છે. હું શક્તિના રૂપમાં તેમની પૂજા કરું છું અને શક્તિના મૂર્ત સ્વરૂપ એવા આ માતા-બહેનોની રક્ષા માટે હું મારો જીવ દાવ પણ લગાવી દઈશ. હું તે લોકોનો પડકાર સ્વીકારું છું જેઓ શક્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. હું શક્તિ માટે મારું બલિદાન આપવા માટે પણ તૈયાર છું.તેમને કહ્યું કે અમે ચંદ્રયાન લેન્ડ થયું તે સ્થળનું નામ ‘શિવ શક્તિ’ રાખ્યું.

એક તરફ એવા લોકો છે જેઓ શક્તિના વિનાશની વાત કરે છે, તો બીજી તરફ એવા લોકો છે જેઓ શક્તિની પૂજા કરે છે. મુકાબલો 4 જૂને થવાનો છે ત્યારે ખબર પડી જશે કે, કોણ શક્તિનો નાશ કરી શકે છે અને કોણ શક્તિના આશીર્વાદ મેળવી શકે. રેલીમાં તેમણે કહ્યું કે તેલંગાણાના ખૂણે ખૂણે ભાજપનું સમર્થન વધી રહ્યું છે. તેલંગાણામાં ભાજપની લહેર કોંગ્રેસ અને બીઆરએસનો સૂપડાં સાફ કરી દેશે. આજે સમગ્ર દેશની જનતા 4 જૂન 400 પારના નારા લગાવી રહી છે.