રિપોર્ટ@સુરત: બ્રિજમાં ગાબડાં પડતા જનતાના કરોડો રૂપિયા પાણીમાં, પાલિકાએ કપચી નાખી સંતોષ માન્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરીને બ્રિજનું નિર્માણ કરતી હોય છે, પરંતુ આ બ્રિજ બનાવવાની કામગીરીમાં વિશાળ નાણાભંડોળ ખર્ચ કરવા છતાં બાંધકામ માટે યોગ્ય ગુણવત્તાવાળી માલ-સામગ્રી ઉપયોગમાં લેવાતી નથી. નિર્માણ થયાના ટુંકા સમયગાળામાં જ બ્રીજ તૂટી પડવાની કે તેના પર ગાબડાં પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.
સુરતમાંથી આવી એક ઘટના સામે આવી છે. અહીં સુરત શહેરની ઓળખ તરીકે ગણાતા કેબલ બ્રિજમાં ગાબડાં પડવાની ઘટના સામે આવી છે. વર્ષ 2018માં રૂપિયા 145 કરોડના મસમોટા ખર્ચે નિર્માણ કરાયેલો કેબલ બ્રિજ ત્રણ દિવસના વરસાદમાં જ ધોવાઇ ગયો છે. નવી ટેક્નોલોજી સાથે બનેલા બ્રિજની છ વર્ષમાં જ દયનિય હાલત થતાં પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે.સુરતના કેબલ બ્રિજ પરથી વહેલી સવારે લાખોની સંખ્યામાં લોકો નોકરી-ધંધા પર જતા હોય છે. આ બ્રિજથી દરરોજ આઠ લાખ લોકો પસાર થતાં હોવાનું અંદાજ છે, પરંતુ ખાડાના કારણે અહીં લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે.
સુરતના બ્રિજમાં ગાબડાં પડતાં સરકારની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.કેબલબ્રિજ પર ખાડા ન પડે આ માટે નવી ટેક્નોલોજીથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો, ત્યારે બ્રિજ કેટલું હેવી લોડ લઈ શકે તે માટે ત્રણ વાર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. પણ સુરતમાં પડેલા વરસાદના કારણે આ બ્રિજ પર ખાડા પડી ગયા છે. જે બાદ બ્રિજમાં વાપરવામાં આવતી માલ-સામગ્રીને લઇને પણ પ્રશ્નો ઊભા થયા છે.
બ્રિજ પર પડેલા ખાડાના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે, ત્યારે મનપા અને બ્રિજ નિર્માણ કરવા ઉપયોગમાં લેવાયેલી નવી ટેક્નોલોજીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.દર વર્ષે બ્રીજનું સમારકામ અને રિપેરિંગ કામની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, છતાં કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજનું સમારકામ યોગ્ય રીતે ન કરાતાં પ્રજામાં રોષની લાગણી વ્યાપી છે. બ્રિજના શરૂઆતના ભાગમાં જ મોટા ખાડા પડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 20 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે.