નોબત@સુઈગામ: નર્મદાના અધિકારીઓ નિષ્ફળ, કેનાલની સફાઈ ખેડૂતોએ કરી
અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)
વરસાદ ખેંચાતા ખેડૂતોને આકરી મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે. નર્મદાના અધિકારીઓની નિષ્ફળતા સ્વિકારી સુઈગામ તાલુકાના ખેડૂતોએ કેનાલની જાતે જ સફાઈ કરી દીધી છે. કેનાલમાં ભરાયેલી માટી સહિતનો કચરો નિકાલ કરી દેતાં પંથકના અન્ય ખેડૂતો પણ ગૌરવ અનુભવી રહ્યા છે.
સુઇગામ તાલુકાના જેલાણા ગામના 50 જેટલા ખેડૂતો છેલ્લા 3 દિવસથી કેનાલોમાં સફાઈ કરી રહ્યા છે. 3 દિવસમાં 3 કી.મી. કેનાલની સફાઈ કરી દીધી છે. કેનાલોમાં ભરાયેલ બબ્બે ફૂટ માટી, કચરો, ઝાડી ઝાંખરા સાફ કરી દીધાં છે. વરસાદ વગર મુરઝાતો પાક પાણી આવવાથી બચાવી શકાય તે આશાએ 3 દિવસથી મજુરી કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં પાણી બંધ કર્યા બાદ કેનાલોનું રીપેરીંગ તેમજ સફાઈ માટે 4 મહિનાનો સમય હતો. સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે, મોટાભાગની કેનાલોમાં સફાઈ કરવામાં આવી નથી. કેટલીક કેનાલોમાં તો સફાઈ કર્યા સિવાય પાણી છોડી દેવાયું છે.
ખેડૂતોમાં અત્યંત નારાજગી
ખેડૂતોએ નર્મદાના અધિકારીઓ સામે અત્યંત નારાજગી હોવાનું દર્શાવ્યું હતું. નિગમના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા કાગળ પર કેનાલોની સફાઈ બતાવી કરોડો રૂપિયા ઘર ભેગા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે.