ઘટસ્ફોટ@મહેસાણા: દૂધ પાઉડરનું થશે સેમ્પલિંગ, નિર્ણય અને નિયમ વચ્ચે કરોડોના સ્ટોકનુ ભવિષ્ય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કરોડોના દૂધ પાઉડરની એક્ષપાયરી ડેટ સહિત અનેક મુદ્દે આજે ચેરમેન સહિતના બોર્ડ સભ્યોએ પ્રેસ મિટીંગ કરી હતી. આ દરમ્યાન શરૂઆતમાં ચેરમેન અશોક ચૌધરીએ ડેરીના ઉત્તરોત્તર નફા, પશુપાલકો માટેની વાત અને આખરે એક્ષપાયરી ડેટ વાળા દૂધ પાઉડરની વાત કરી હતી. જેમાં અશોક ચૌધરીએ આખરે સ્વિકાર્યું કે, એક્ષપાયરી ડેટ આવી ગઇ પરંતુ દૂધ પાઉડરનું સેમ્પલિંગ કરાવી પ્રોસેસિંગ કરવાનું કહ્યું. આ દરમ્યાન સવાલોની વણઝાર વાગી ત્યારે ચેરમેન સતત એક વાત ઉપર મક્કમ રહ્યા કે, સેમ્પલિંગ થાય અને રિપોર્ટ બરોબર આવે તો પ્રોસેસિંગથી ઉપયોગમાં લઇ શકાય છે. આ તરફ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ પણ છે ત્યારે છેલ્લે વાત મુખ્યમંત્રીને મળવા ઉપર આવી છે. પશુપાલકો સાથે જનતાના હિતમાં એક્ષપાયરી ડેટ વાળા કરોડોના દૂધ પાઉડરના ભવિષ્યનો આ સ્પેશ્યલ રિપોર્ટ વાંચો.
છેલ્લા કેટલાક દિવસોથી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલનું જૂથ વહીવટના વિવિધ મુદ્દે આમનેસામને છે. હવે દૂધ સંઘે અત્યાર સુધી કેટલો નફો કર્યો કે કેમ એ અલગ વાત છે પરંતુ કરોડોની કિંમતના દૂધ પાઉડરના જથ્થાનું ભવિષ્ય અત્યારે ભયંકર સવાલો વચ્ચે આવ્યું છે. આજે દૂધસાગર ડેરીના હોલમાં ચેરમેન, કેટલાક બોર્ડ સભ્યો અને પશુપાલકો સાથે અશોક ચૌધરીએ પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં દૂધસાગર ડેરીને વધુને વધુ નફામાં લાવ્યા બાબતે અનેક વાતો મૂકી પરંતુ એક્ષપાયરી ડેટ વાળા કરોડોના દૂધ પાઉડરની વાત સૌથી વધુ ચર્ચાઈ હતી. ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે, કરોડોની કિંમતના સ્કિમ્ડ મિલ્ક પાવડરનું સેમ્પલિંગ થશે અને જો રીપોર્ટ બરોબર આવે તો પ્રોસેસિંગ કરી ઉપયોગમાં લેવાશે અને રીપોર્ટ બરોબર નહિ આવે તો નિકાલ થશે. હવે અહિં સૌથી મોટો સવાલ એક્ષપાયરી ડેટ વાળા જથ્થાના ઉપયોગ બાબતે નિયમોનો છે. વાંચો નીચેના ફકરામાં ચેરમેનની વાત સામે નિયમો શું કહે છે એટલે તમને બધી ખબર પડી જશે.
ભારત સરકાર હેઠળ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામનું સત્તામંડળ કામ કરે છે. આ ઓથોરિટીના નિયમો લેબલિંગ એન્ડ ડિસ્પ્લે નિયમન 2020(વર્ષ 2022ના સંશોધન સહિત)ના રૂલ 4.1(C) ડેટ માર્કિંગ અંગે કહે છે કે, એક્ષપાયરી ડેટ કોઈપણ સંજોગોમાં બદલી શકાતી નથી. વેચાણના નિયમો બાબતે રૂલ 6.1 કહે છે કે, ખાદ્ય વસ્તુઓ તેની સેલ્ફ લાઈફ કે તેની એક્ષપાયરી ડેટ પછી વેચાણ થઈ શકે નહિ. આ તમામ નિયમો વચ્ચે સેલ્ફ લાઈફની બાબતે ઉત્પાદકે ક્યાં લેબોરેટરી કરાવી અને કેવી રીતે સેલ્ફ લાઈફ નક્કી કરી તે સમજવું પડે. આથી આ બાબતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી જ્યોતિબેન અને રાજકુમારે જણાવ્યું હતું કે, એક્ષપાયરી ડેટ વાળા દૂધ પાઉડરનો જથ્થો વેચાણ કે પ્રોસેસિંગ થઈ શકે નહિ. જોકે સેમ્પલિંગ કરાવતાં દૂધ પાઉડરની ગુણવત્તા બરોબર જણાય તો પણ ઓથોરિટીને સત્તા છે.
હવે શું થશે?
સરેરાશ 400 કરોડોના દૂધ પાઉડરનો જથ્થો હોઈ દૂધ સંઘ સેમ્પલિંગ કરાવવા મક્કમ છે. જથ્થો ભલે સરેરાશ 20 મહિના થવા આવ્યો પરંતુ સેમ્પલિંગ કરાવશે ત્યારે જો ગુણવત્તા બરોબર નહિ આવે તો નિકાલ જ કરવો પડશે અને ગુણવત્તા બરોબર આવશે તો પણ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો તો ઉભા જ છે. આથી દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો ચૂંટણીથી આવતાં હોઇ મામલો મુખ્યમંત્રી સુધી જાય તો નવાઇ નહિ. એટલે જે કરોડોના દૂધ પાઉડરનું ભવિષ્ય નિયમ અને નિર્ણય ઉપર નક્કી થશે.