ઘટસ્ફોટ@મહેસાણા: આખી રાત ચાલી તપાસ, કોટાની દુકાનોમાં મળી અનાજની ઘટ
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના સરકારી ગોડાઉનથી અનાજનું બારોબારીયુ થયાના અહેવાલ બાદ દોડધામ મચી ગઇ છે. પુરવઠા તંત્ર દ્વારા જોટાણા તાલુકામાં આખી રાત તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક સસ્તા અનાજની દુકાને જથ્થાની ઘટ સામે આવી છે. આથી ઘટ મળેલ સરકારી અનાજ ક્યાં ગયું તે સહિતની તપાસ વેગવંતી બની છે.
મહેસાણા જિલ્લા પંચાયતની બાજુમાં આવેલા સરકારી ગોડાઉનથી મંગળવારે બપોરે ઉપડેલી ટ્રક અનાજનું વેચાણ કરતી અટલ સમાચાર ડોટ દ્વારા ઝડપાઇ હતી. જેની જાણ પુરવઠા એકમને થતાં અલગ અલગ ટીમ બનાવી તપાસ કરાઇ હતી. જેમાં ટ્રકને પરવાનો મળેલ ગામોમાં અનાજ પહોંચ્યું છે કે નહિ તેની તપાસ આખી રાત ચાલી હતી.
જેમાં સસ્તા અનાજની દુકાને થયેલ તપાસમાં જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોક્કસ સાંઠગાંઠ રચી અનાજની દુકાને જતાં જથ્થામાં કાપ કરી બારોબાર વેચી દેવાય છે. જિલ્લા પુરવઠા દ્વારા ઘટ કેમ આવી અને જે તે ટ્રક બારોબાર ક્યાં અને કેવીરીતે પહોંચી હતી કે કેમ તે સહિતની બાબતો તપાસ હેઠળ છે.
કોની-કોની સાંઠગાંઠથી ચાલે છે કાળો કારોબાર ?
સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી અનાજના ગોડાઉનથી મહેસાણા પંથકની સસ્તા અનાજની દુકાને જથ્થો પહોંચે છે. આમાંથી કેટલોક જથ્થો ગોડાઉનથી જ કટીંગ કરી બારોબાર ખાનગી વેપારીને વેચી દેવાય છે. જેના સસ્તા અનાજના વેપારીઓને વિશ્વાસમાં લઇ અનાજના ગોડાઉનના સત્તાધિશો તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી અનાજનું બારોબારીયું થતું હોવાના ગંભીર સવાલો વચ્ચે વડાપ્રધાનના જીલ્લામાં જ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.