ઘટસ્ફોટ@સુરત: 32 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ખુદ ફરિયાદી જ નીકળ્યો

 
ચોરી
ચોરીનો પ્લાન કંપનીના માલિકે જ બનાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ શંકાના ઘેરામાં છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી.

17 ઓગસ્ટ, રવિવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.સન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા, જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, અને મુંબઈ કે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ.10 લાખ આપવાની વાત થઈ હતી. જેમાંથી રૂ.5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ.5 લાખ આપવાના બાકી હતા.ડી.કે.સન્સ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી વરાછાના ખોડિયારનગર રોડ પરના એક મોટા હીરા વેપારી છે, જે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય ચલાવે છે. તેમની કંપનીનું મુંબઈ અને વિદેશમાં પણ મોટું કામકાજ છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 300 કરોડ જેટલું છે. આટલું મોટું ટર્નઓવર ધરાવતા વેપારી દ્વારા આવા પ્રકારનું તરકટ શા માટે રચવામાં આવ્યું, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.