ઘટસ્ફોટ@સોનગઢ: સમાચાર બાદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપતાં આચાર્ય, તપાસ રીપોર્ટને અસર થશે?

 
Kukarmunda
બેદરકારી ઢાંકવા આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આખરે યુનિફોર્મ આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સોનગઢની ત્રણ આદર્શ નિવાસી શાળામાં ધો.10 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગણવેશ નહિ આપનાર આચાર્ય અને શાળા સત્તાધિશોની ભયંકર બેદરકારી છતી થઇ છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે તપાસ થઈ અને રીપોર્ટ પણ જમા થઈ ગયો ત્યારે આ તરફ શાળાના આચાર્ય દ્વારા તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને ગણવેશ આપવા દોડધામ થઇ છે. ધો.10 પાસ કરીને નિકળી ગયેલા વિદ્યાર્થીઓ કોઈ શૈક્ષણિક કામથી શાળામાં જતાં યુનિફોર્મ આપી દેવામાં આવ્યો છે. સમાચારના અહેવાલને પગલે સફાળા જાગેલા આચાર્ય સહિતના શૈક્ષણિક કર્મચારીઓ યુનિફોર્મ દબાવી રાખવાને બદલે આપવા લાગ્યા છે ત્યારે તપાસ રિપોર્ટને શું અસર થશે કે નહિ તે જાણવું પણ અગત્યનું છે. જાણીએ સમગ્ર અહેવાલ.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી ઉચ્છલ નિઝર અને કુકરમુંડા શાળામાં આચાર્યની યુનિફોર્મ વિતરણ બાબતે ભયંકર બેદરકારી ઉઘાડી પડી છે. આ બાબતે અત્યંત ગંભીરતાથી લઈ મદદનીશ કમિશ્નર અને પ્રાયોજના વહીવટદારની કચેરીએ તાત્કાલિક તપાસ કરી રીપોર્ટ સબમિટ કર્યો છે. ધો.10 ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવા રાજ્ય સરકારે ગ્રાન્ટ આપી, મદદનીશ કમિશ્નર, તાપીનાઓએ ટેન્ડર કર્યું, બીલો મૂકાય, વેપારીને રૂપિયા ચૂકવાઈ ગયા છતાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળ્યા નહોતા. આખરે સમાચાર અહેવાલને પગલે મદદનીશ કમિશ્નર કચેરીનાઓએ તપાસ કરી સોનગઢ પ્રાયોજના વહીવટદારને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. આ તરફ બેદરકારી ગણો કે ઈરાદાપૂર્વકનું કૌભાંડ પરંતુ કાર્યવાહી થશે તો એવા વિચારમાં અને બેદરકારી ઢાંકવા શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આખરે યુનિફોર્મ આપ્યા છે. ધો.10 ના વિદ્યાર્થીઓ અત્યારે ધો.11 માં એડમિશન પણ મેળવી લીધું ત્યારે છેક હવે ધો.10 ના યુનિફોર્મ અપાયા છે. ઢાંકપિછોડો અથવા બેદરકારી સુધારી તો હવે શું વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આખું વર્ષ ધો.10ના વિદ્યાર્થીઓ યુનિફોર્મ વગર રહ્યા અને મદદનીશ કમિશ્નરનાઓએ ખર્ચો પાડી દીધો હતો ત્યારે તપાસ રીપોર્ટ ઘણું કહી જાય છે. આ બાબતે પ્રાયોજના વહીવટદારે વિભાગમાં રીપોર્ટ સબમિટ કર્યો પરંતુ જે બેદરકારી દાખવી હતી તેના ઉપર કાર્યવાહી કેમ નહિ તે સૌથી મોટો સવાલ છે. એક ઉદાહરણથી જોઈએ કે, કોઈ નાગરિક ખોટી રીતે સહાય મેળવી લે પછી તપાસ થાય અને પછી કાર્યવાહીથી બચવા સહાય જમા કરાવી દે તો શું કાર્યવાહી ના થાય ? રાજ્ય સરકારે જેવી રીતે દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ કાર્યવાહી કરી તેવી રીતે તાપી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના આપે તે હેતુથી દાખલારૂપ કાર્યવાહી અગત્યની હોવાનું જાગૃત નાગરિકો માને છે.