ઘટસ્ફોટ@સોનગઢ: જ્ઞાનતીર્થના કરતૂતો ઉઘાડા થતાં કર્મચારી, વેપારીનું દબાણ, નામજોગ સૌથી મોટી હકીકત

 
સોનગઢ
અહેવાલ બાદ મદદનીશ કમિશ્નર કચેરી અને સોનગઢ મામલતદાર કચેરી હરકતમાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સોનગઢ ખાતેની ખાનગી શાળા જ્ઞાનતીર્થ એકેડમીએ આદીજાતી વિકાસ વિભાગની છાત્રાલયની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હોઈ મામલો ગંભીર બનતો જાય છે. આ દરમ્યાન અમો અટલ સમાચાર ડોટ કોમને આ વિષય મૂકી દેવા અત્યાર સુધી જેટલા પણ ફોન આવ્યા અને શું વાત કરી તેનો સૌથી મોટો ઘટસ્ફોટ આ રીપોર્ટમાં જાણીએ. જે કર્મચારીની મૂળ ફરજ શાળામાં છે તેવા પણ મદદનીશ કમિશ્નર કચેરીના કામમાં સેટિંગ્સ પાડવા ઉતરી પડ્યા હોય તેવો અનુભવ થયો છે. આટલું જ નહિ, નવસારી, સુરત બાજુના વેપારી પણ કચેરી અને જ્ઞાનતીર્થ એકેડમીના જાણે વચેટિયા હોય તેમ ફોન કરી રીતસર ધમકાવવા લાગ્યા છે. વળી અન્ય એક વ્યક્તિએ શરૂઆતમાં વખાણ કરી પછી રૂબરૂ મુલાકાત આપવાની લાગણી વ્યક્ત કરી હતી. હવે અહિં સૌથી મોટો સવાલ વળવીજી આપની કચેરી માટે થાય કે, શું આ કર્મચારી પોતાની સત્તાવાર ફરજ નિભાવવાને બદલે સરકારી જમીન પચાવી બેઠેલી એકેડમીના આકાને બચાવવા ઉતરી પડે ? વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ.

 

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદીજાતી વિકાસ વિભાગની છાત્રાલયની જમીન આવેલી છે પરંતુ આ જમીન અગાઉ ખુલી પડી હોઈ બાજુમાં ચાલતી ખાનગી શાળા જ્ઞાનતીર્થ એકેડમીએ કેટલુંક દબાણ કરી પાક્કું બાંધકામ ઉભું કર્યું છે. આ ગેરકાયદેસર બાંધકામ વર્ષોથી હોવા છતાં મદદનીશ કમિશ્નર કચેરીએ નાની મોટી પ્રક્રિયા કરી હશે પરંતુ હજુ સુધી દબાણ દૂર થયું નથી. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા સમગ્ર મામલે ઘટસ્ફોટ કરતાં મદદનીશ કમિશ્નર કચેરી અને સોનગઢ મામલતદાર કચેરી હરકતમાં આવી છે. આ દરમ્યાન અમો અટલ સમાચાર ડોટ કોમને મદદનીશ કમિશ્નર કચેરી હેઠળના કોઈ પરાગ નામે ઈસમે વોટ્સએપ ફોન કરી જે હોય એ પતાવી દો, કહીને ગર્ભિત રીતે દબાવવાની કોશિશ કરી હતી. આ ભાઇ ખુદ બોલે છે કે, પોતાને નિરજ નામે ઓ.એસ મારફતે વાત કરવા કહ્યું છે અને પોતાની બદલી શાળામાં થઇ ગઇ છે. હવે જો શાળામાં બદલી થઇ છે તો ભાઇ કેમ મદદનીશ કમિશ્નર કચેરીના કામકાજના વિષયમાં સેટિંગ્સ પાડવા આવી ગયા ? વાંચો નીચેના ફકરામાં.


જ્ઞાનતીર્થ એકેડમી મામલે કર્મચારી જ નહિ નવસારી કે સુરત બાજુના વેપારીના પણ ફોન આવી રહ્યા છે કે, મામલો પૂરો કરો, હવે પૂરો કરો એટલે શું? આ સિવાય એક અન્ય વ્યક્તિનો પણ ફોન આવ્યો પરંતુ વખાણ કરી મળવાની વાત કરી હોઈ શું હશે તે અસ્પષ્ટ છે. અત્યાર સુધી અનેક લોકોના ફોન આવી ગયા હોઈ હવે અટલ સમાચાર ડોટને પણ સુરક્ષા માટે સંદેહ ઉભો થાય છે. જ્ઞાનતીર્થ પાછળના ઈસમો બાહુબલી, પહોંચ વાળા અને રાજકીય વગ ધરાવતા હોવાનું સ્થાનિક વર્તુંળોમાં ચર્ચાઈ રહ્યું હોઈ મામલો ગંભીર બનતો જાય છે. સૌથી મોટો સવાલ તાપી સ્થિત મદદનીશ કમિશ્નર કચેરીના વડા વળવી જી સમક્ષ થાય કે, જેઓની બદલી શાળામાં હોય તેઓ મદદનીશ કમિશ્નર કચેરીના કામકાજને ગેરમાર્ગે દોરવા કેમ ઉતરી પડે છે! 

આ વાંચી તમે પણ ચોંકી જશો


પરાગ નામે કર્મચારીએ અમોને વારંવાર વોટ્સએપ કોલ કર્યા પરંતુ કેટલાક કોલ અમો ઉપાડી શક્યા નહિ એટલે કોલ કરી પૂછતાં કામમાં હોવાનું કહ્યું અને પછી સામેથી ફરી ફોન આવ્યો અને જે વાત કરી તે સૌથી ગંભીર છે. લાલચમાં પાડવાનો નિંદનીય પ્રયાસ કરી પૂરૂ કરો તેવું કહેતાં અમોએ ઈન્કાર કરતાં હવે અમારા માટે પણ જોખમ તો નથી ને તેવા પ્રશ્નો અમને ખુદને આવી રહ્યા છે.

આ પણ જાણો

પરાગ કહે છે પોતે શિક્ષકમાં છે તો પછી કચેરીમાં કેમ આંટા ફેરા રહે છે ? બીજા એક કર્મચારી એટીડીઓ અથવા વોર્ડન છે તો પછી શાળામાં ફરજ હોય કે કચેરીમાં તે પણ એક સવાલ છે ? વળવી જી જરા તપાસ કરજો સરકારના હિતમાં કે, મૂળ હોદ્દા વાળા મૂળ જગ્યાએ ફરજમાં છે કે પછી કંઈ બીજું?