જોખમ@બનાસકાંઠા: નેશનલ હાઇવે પર રખડતા ઢોર, અધિકારીઓ નિષ્ફળ ?
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)
બનાસકાંઠા જીલ્લાના નેશનલ હાઇવે ઉપર ગંભીર પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. શહેર અને ગામડાના માર્ગ પર જોવા મળતા રખડતા ઢોર નેશનલ હાઇવે ઉપર સામે આવ્યા છે. પાલનપુર-રાધનપુર નેશલન હાઇવે નંબર 27 ઉપર સવારે રખડતા ઢોરનો કાફલો જોતા વાહનચાલકો મુંઝવણમાં મુકાયા હતા. તેજ રફતારમાં નેશનલ હાઇવે પર દોડતા વાહનો સામે અકસ્માત થવાની સંભાવના જોતા પરિસ્થિતિ વિકટ બની છે. જેની સામે NHAIના સત્તાધિશો નિષ્ફળ હોવાના સવાલ બન્યા છે.
કાંકરેજ પંથકમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 27 વાહનચાલકો માટે જોખમી છે કે કેમ ? તેવા સવાલો બન્યા છે. શિહોરી નજીક ડુંગરાસણ ગામના પાટીયા પાસેના નેશનલ હાઇવે પર મંગળવારે સંખ્યાબંધ રખડતા ઢોર જોવા મળ્યા છે. વાહનો પુરપાટ ઝડપે દોડતા હોઇ નેશનલ હાઇવે પર અચાનક રખડતા ઢોરનું ટોળું જોઇ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સ્પીડને પગલે અચાનક બ્રેક મારતાં અકસ્માતથી માંડ બચ્યાનો અહેસાસ થયો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, નેશનલ હાઇવે ઉપર કચરો પણ જોવા મળે નહિ તો રખડતા ઢોર કેવી રીતે આવી ગયા તે મોટો સવાલ બન્યો છે. નેશનલ હાઇવે ઓથોરીટ ઓફ ઇન્ડિયાના અધિકારીઓની ફરજ રાધનપુર અને પાલનપુરમાં હોવા છતાં હાઇવે પર દુર્ઘટનાની સંભાવના છે. આ સાથે નેશનલ હાઇવે ઉપર ટોલનાકાની ઉપસ્થિતિ તેમજ રૂટ ચેકિંગ સામે પરિસ્થિતિ શંકાસ્પદ બની છે. વાહનચાલકો પાસેથી અનેકગણો ટેક્ષ લેવાતો હોવા છતાં જોખમી મુસાફરી સાથે પસાર થવાની નોબત છે.